તને મારું કંઇ
ખરાબ લાગ્યું છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ભૂલ એવી, ફરી કરી બેઠો,
ભૂલવાનું બધું, સ્મરી બેઠો!
તક હતી વ્યક્ત થઇ જવાની ત્યાં,
હાથ પર હાથ હું ધરી બેઠો.
– સુનીલ રાચાણી `અંતર’
બધા સંબંધો સ્વાર્થના છે. કામ હોય ત્યાં સુધી બધા સારી રીતે રહે છે. જેવો સ્વાર્થ સધાઈ જાય કે તરત જ લોકો મોઢું ફેરવી લે છે. સારા સમયમાં બધા આજુબાજુ ફરતા રહે છે. ખરાબ સમયમાં કોઇ નજીક ફરકતું નથી. સંબંધ વિશે જાતજાતની વાતો થતી આવી છે. અલબત્ત, એક સત્ય એ પણ છે કે, દરેક માણસને સંબંધની કદર હોય છે. દરેકને પોતાની નજીકના લોકોની પરવા હોય છે. ભલે રોજ મળતા ન હોય, ભલે નિયમિત રીતે ફોન પર વાત થતી ન હોય, પણ જે લોકો દિલથી નજીક હોય છે એ નજીક જ રહે છે. સંબંધને સમય કે અંતરનું બંધન નથી નડતું. જેની સાથે લાગણી છે એ મળે ત્યારે જુદાઇનો સમય ક્ષણભરમાં ઓગળી જાય છે. ક્યારેક કોઇનાથી દિલ દુભાય ત્યારે સંબંધો સામે સવાલો થાય એ સ્વાભાવિક છે, બાકી માણસ સંબંધોના સહારે જ જીવતો હોય છે. દરેકની લાઇફમાં કોઇ હોય છે જે એના માટે સર્વસ્વ હોય છે. આપણે પોતે પણ ઘણા માટે ખૂબ જ મહત્ત્વના હોઇએ છીએ. માણસ માત્ર પોતાના માટે નથી જીવતો હોતો, એને બીજા માટે પણ જીવવું હોય છે. પોતાના લોકોને સુખ આપવું હોય છે. એમને ખુશ અને રાજી રાખવા હોય છે. સંબંધમાં માણસ કંઇ પણ કરી છૂટે છે. દગાની ચર્ચા ખૂબ થતી રહે છે, વફાદારીની વાતો ઓછી થાય છે. બધા સંબંધો ક્યારેય સો ટચના નહીં હોવાના. થોડાક બોદા અને ખોખલા પણ હોવાના જ છે. એ સંબંધો તૂટે તો ચિંતા નહીં કરવાની. કેટલાક સંબંધો તૂટવા માટે જ સર્જાતા હોય છે. તકલાદી સંબંધો જ આપણને તાકાતવર સંબંધની ઓળખ આપે છે. એ જ તો કહે છે કે, કોણ ભરોસાપાત્ર છે અને કોણ નથી?
એક ખેડૂત હતો. તેણે સંબંધ વિશે સરસ વાત કરી. તેણે કહ્યું કે, પાક ઊગે ત્યારે તેને ફોલી ખાવાવાળા કીડા આવી જ જાય છે. જિંદગીનું પણ એવું જ છે. જ્યારે નામ, દામ અને કામ હોય ત્યારે કેટલાક લોકો નજીક આવવાના જ છે. એ થોડા સમય માટે જ હોય છે. કેટલાક લોકો ઇન્સ્યોરન્સની જેમ સંબંધ રાખે છે. જરૂર હોય ત્યારે કામ લાગે એટલા માટે જ એ સંબંધ જાળવતા હોય છે. જે સાચા સંબંધો છે એ હંમેશાં એવા ને એવા રહે છે. આપણે પણ આપણા સંબંધોને સજીવન રાખવા માટે સક્રિય જ હોઇએ છીએ. આપણે આપણા લોકોની નજીક રહીએ છીએ. એના ખબરઅંતર પૂછતા રહીએ છીએ. જરૂર હોય ત્યારે મદદ પણ કરીએ છીએ. દરેક સંબંધમાં આપણો કોઇ સ્વાર્થ હોતો નથી. એક સાવ સાચી ઘટના છે. તમને પણ આવું ફીલ થયું જ હશે. તમે તમારી આસપાસમાં આવું જોયું પણ હશે. એક પરિવાર હતો. તેના પડોશમાં રહેતા કપલને એક દીકરી હતી. આ દીકરી એ પરિવારના લોકોને પોતાની હોય એટલી જ વહાલી હતી. દીકરીનાં મા-બાપ સાથે એ પરિવારને બહુ બનતું નહીં, પણ એની દીકરી ઘરે આવે એટલે આખું ઘર તેની પાછળ ઓળઘોળ થઇ જાય. એક વખત પરિવારના ભાઇએ કહ્યું, એ દીકરી તો મને જીવ જેવી વહાલી છે. એની સાથે કોઇ નાતો નથી પણ તેને જોઇને હંમેશાં એવું લાગે છે કે, લોહીના સંબંધ કરતાં પણ સ્નેહનો સંબંધ ઘણી વખત વધુ સશક્ત હોય છે. માત્ર બાળકની જ વાત નથી, ઘણી વખત કોઇ વડીલ પ્રત્યે પણ આદર હોય છે. આપણે ઘણાને ગણકારતા નથી, પણ કેટલાક લોકો એવા હોય છે જેનો પડ્યો બોલ આપણે ઝીલીએ છીએ. એક બીજો કિસ્સો પણ રસપ્રદ છે. એક પરિવારમાં એક બહેન ઘરકામ કરવા આવે છે. તેની સાથે તેનો પાંચ વર્ષનો પૌત્ર પણ આવે. એ છોકરો ઘરમાં બધાનો ખૂબ જ લાડકો. એ છોકરો પણ જાણે પોતાનું જ ઘર હોય એ રીતે રહે. તેની દરેક ડિમાન્ડ પૂરી થાય. ઘરના લોકો સાથે ખાવાપીવાથી માંડીને ફરવા સુધીમાં એ સાથે હોય. એ બાળકને કંઇ અજાણ્યું ન લાગે. એક વખત એ ઘરે મહેમાન આવ્યા. આ છોકરાને જોઇને પહેલાં તો તેને એમ જ લાગ્યું કે, ઘરનો જ સભ્ય છે. મહેમાને પૂછ્યું, આ કોનો દીકરો છે? ઘરના લોકો એમ પણ ન કહી શક્યા કે, આ અમારી કામવાળીનો પૌત્ર છે. તેણે એમ જ કહ્યું કે, અમારો છે! અમારા દિલથી નજીક છે! અમારો લાડકો છે. તેના માટે અમે કંઇ પણ કરી શકીએ છીએ. એ જ્યારે ઘરમાં હોય ત્યારે ઘર થોડુંક વધુ જીવતું થઇ જાય છે. એ ન આવે ત્યારે કંઇક અધૂરું લાગે છે! આપણે જ કેટલાક સંબંધો વિશે એવું કહેતા હોઇએ છીએ કે, કોણ જાણે કયા ભવનો નાતો એની સાથે હશે! કયા ભવનું લેણું બાકી રહી ગયું હશે! કંઇક તો હોય છે, બાકી કારણ વગર કોઇ વહાલું કે પોતાનું ન લાગે!
દરેક માણસ જેની સાથે પ્રેમ અને લાગણીના સંબંધ હોય ત્યાં સંબંધમાં કોઇ ગેપ ન આવે એની પણ કાળજી રાખતો હોય છે. હમણાંની એક સાવ સાચી વાત છે. એક છોકરીએ તેની એક સ્વજનને મેસેજ કર્યો. તમને કંઇ ખોટું લાગ્યું છે? ઘણા સમયથી તમારો કોઇ મેસેજ નથી. સોશિયલ મીડિયા પર પણ તમે પોસ્ટને લાઇક કરતા નથી. કંઇ થયું નથીને? કંઇ ખરાબ લાગ્યું હોય તો હું માફી માંગું છું. એ સ્વજને મેસેજ કર્યો, અરે યાર! કંઇ ખોટું નથી લાગ્યું. હમણાં થોડાં અંગત કામોમાં અટવાયેલી હતી. તેણે પછી એમ પણ કહ્યું કે, તારું ખોટું લાગ્યું હોયને તો તને મોઢામોઢ કહું, મોઢું ચડાવીને ન બેસું! તને ખખડાવી ન નાખું? એક રીતે જોવા જઇએ તો, કોઇ તમને એવું પૂછે કે, તને કંઇ ખોટું તો નથી લાગ્યુંને? એ પણ એક પ્રકારની કન્સર્ન જ છે. તેને સંબંધની પરવા છે. તે એવું જ ઇચ્છે છે કે, તમને કંઇ ખોટું ન લાગે. આપણે પણ એ વાતની દરકાર રાખતા હોઇએ છીએ કે, જેના પર પ્રેમ છે એને ખોટું ન લાગે.
આપણને ક્યારેક ખોટું લાગી પણ જતું હોય છે. એમાં પણ તમે માર્ક કરજો, ખોટું એનું જ લાગશે જેના પર આપણને પ્રેમ હોય. આપણે બધાનું ખોટું લગાડતા નથી. જેનાથી ફેર પડતો હોય એનું જ ખોટું લાગે છે. ખોટું લગાડવામાં પણ ધ્યાન રાખવું જોઇએ. વાતે વાતે જેને ખોટું લાગે છે એની વાત વણસી જાય છે. આપણી નજીકની કોઇ વ્યક્તિને ક્યારેક ખોટું લાગી જાય તો એને સાચવી પણ લેવી જોઇએ. બે બહેનપણી હતી. એકે અચાનક જ બોલવાનું ઓછું કરી નાખ્યું. તેની ફ્રેન્ડને અણસાર આવી ગયો કે, આને કંઇક ખરાબ લાગ્યું છે. એ પોતાની ફ્રેન્ડ પાસે ગઇ અને કહ્યું કે, શું થયું છે? તને એક વાત કરું, તારાથી વધારે કંઇ નથી. હું નથી ઇચ્છતી કે, આપણી વચ્ચે જરાયે ગેપ આવે. મારા માટે તું મૂલ્યવાન છે. તેની ફ્રેન્ડે એને ગળે વળગાડીને કહ્યું, તારા આ શબ્દો જ મારા માટે પૂરતા છે. જવા દે, મને કંઇ ખોટું કે ખરાબ નથી લાગ્યું, હું તો માત્ર જોવા ઇચ્છતી હતી કે, તને આપણી દોસ્તીની કેટલી કેર છે! આમ તો દોસ્તીની ક્યારેય પરીક્ષા પણ ન કરવી જોઇએ. એનું કારણ એ છે કે, જિંદગીમાં એવો સમય આવતો જ હોય છે જ્યારે દોસ્તી કેટલી સાચી અને કેટલી પાક્કી છે એની ખબર પડી જાય છે. સમય જ એ વાત સાબિત કરી દેતો હોય છે કે, દોસ્તી સાચી છે કે પછી તકલાદી! સારા અને સાચા સંબંધને જતનથી જાળવી રાખો, એનું કારણ એ છે કે, એવા સંબંધો હવે ઘટતા જાય છે. કોઇ એવું હોવું જોઇએ જેને આપણે બધી જ વાત કરી શકીએ. એવું જેને કંઇ કહેવાની પણ જરૂર ન પડે. આંખો જોઇને જેને આપણા હાલ સમજાઈ જાય! જેના માટે પ્રેમ અને લાગણી હોય એને ક્યારેક કહેવું પણ જોઇએ કે, મને તારી કદર છે. તું મારા સારા નસીબનો હિસ્સો છે. તું છે તો જિંદગી જીવવા જેવી લાગે છે.
છેલ્લો સીન :
કયો સંબંધ જાળવવો અને કયો સંબંધ તોડવો એની સમજ પણ જિંદગીમાં જરૂરી છે. અમુક સંબંધમાંથી મુક્તિ મેળવવી પડે છે. છેડો ફાડવો પડે છે. સંબંધ જ્યારે પ્રેમને બદલે પેઇન આપવા માંડે ત્યારે પૂર્ણવિરામ મૂકવું પડે છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 04 મે, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
