હાસ્ય અને વેદના : લોકો
હસવાનું ભૂલી રહ્યા છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
વેદના, દર્દ, પીડા અને ઉદાસીને દૂર કરવા માટે હાસ્ય
શ્રેષ્ઠ ઉપાય છે. સૌથી વધુ જોક્સ કપરા સમયમાં જ બન્યા છે?
તમે છેલ્લે પેટમાં દુખવા લાગે એવું ક્યારે હસ્યા હતા?
———–
હાસ્ય શ્રેષ્ઠ ઔષધી છે. જે હસી શકે છે એ દરેક પડકારોનો સામનો કરી શકે છે. હસવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. હાસ્યથી સ્ટ્રેસ ઓછો થાય છે. હાસ્ય એક જ એવી વસ્તુ છે જેનો કોઇ ગેરફાયદો નથી. હાસ્યને ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવામાં આવે છે. ભાષા ન આવડતી હોય, કોણ છે એ પણ ખબર ન હોય, છતાં પણ તમે કોઇની સામે હસો છો ત્યારે સીધા એની સાથે કનેક્ટ થઇ જાવ છો. આવતા રવિવારે તારીખ 4 મેના રોજ વિશ્વ હાસ્ય દિવસ છે. આ દિવસે હાસ્યનો મહિમા ગવાશે. જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ એમ હસતા ચહેરાઓ ઘટી રહ્યા છે. રોડ પરથી પસાર થતા લોકોના ચહેરાને ક્યારેક શાંતિથી નિહાળજો. ભાગ્યે જ કોઇ ચહેરા પર તમને હળવાશ જોવા મળશે. ઉચાટ, ઉકળાટ અને અજંપાવાળા ચહેરાઓ સતત વધી રહ્યા છે. હવે હસવા માટે પણ માણસને સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે. રીલ્સ જોઇને કેટલાક લોકો ખડખડાટ હસતા હોય છે. આમ તો કોઇ પણ રીતે અને કોઇ પણ કારણે હસવું આવે એ સારું જ છે. તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમે આખા દિવસમાં કેટલી વાર હસો છો? કેટલાક દિવસ તો એવા હશે જ્યારે આખા દિવસમાં આપણે જરાયે હસ્યા નહીં હોય. અત્યારના અત્યાધુનિક સમયમાં લાઇફ સ્ટાઇલ રિલેટેડ બીમારીઓ વધી રહી છે. એમાંથી બચવાનો એક ઇલાજ એ પણ છે કે, ગમે તે બહાને હસતા રહો. આપણા સર્કલમાં કેટલાક લોકો એવા હોય છે જે ઓલવેઝ મજામાં જ હોય છે, હસતા જ હોય છે, આવા મિત્રો સાથે સંબંધ વધારો. એ તમને હળવા રાખશે.
હાસ્ય વિશે ઘણાં બધાં સંશોધનો અને પ્રયોગો થયાં છે. હાસ્યની શરૂઆત ક્યારથી થઇ? સ્વાભાવિક રીતે જ જ્યારથી માણસજાતની શરૂઆત થઇ ત્યારથી માણસ હસતો રહ્યો છે. નાના બાળકને હાસ્યનો મતલબ ખબર નથી હોતો તો પણ એ હસે છે. હાસ્ય વિશે એવું જ કહેવાય છે કે, સૌથી સહજ અને સાચું તો બાળક જ હસે છે. બાળક ઊંઘમાં પણ હસતું હોય છે. માણસ જેમ જેમ મોટો થતો જાય છે એમ એમ હસવાનું ઘટતું જાય છે. માણસ ચિંતા, ફિકર, ઉપાધિ અને બીજાં કેટલાંય આવરણો ઓઢી લે છે એના કારણે હાસ્ય નજીક ફરકી જ નથી શકતું.
હાસ્ય વિશે એવું પણ કહેવાતું આવ્યું છે કે, ઘણી વખત હાસ્ય વેદનામાંથી જ ઉત્પન્ન થાય છે. વેદના પણ દરેકની જિંદગીનો એક હિસ્સો જ છે. મહાન હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિને કહ્યું છે કે, જિંદગીને નજીકથી જોશો તો એ ટ્રેજેડી છે, દૂરથી જોશો તો એ કોમેડી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારું દર્દ તમારા હસવાનું કારણ બની શકે છે, પણ મારું હાસ્ય કદી તમારા દર્દનું કારણ નહીં બને. ચાર્લી ચેપ્લિને એક વાત એવી પણ કરી હતી કે, અચાનક આવી પડતા આઘાત વખતે આપણે આપણી જાત પર હસવા સિવાય કંઇ કરી શકતા નથી. ખરેખર આ વાત સાચી છે? એના વિશે પણ ઘણું બધું કહેવાયું છે. આપણે જ્યારે ખૂબ જ ટેન્શનમાં હોઇએ, ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યારે ઘણી વખત એવું કહીને હળવા થઇએ છીએ કે, ચૂલામાં ગયું બધું, જે થવું હોય તે થાય! માણસ વેદનામાંથી છુટકારો મેળવવા માટે અંતે હાસ્યના સહારે જ જાય છે.
આજકાલ જોક્સની બોલબાલા છે. જોક્સની શરૂઆત ભાષાની શરૂઆત પહેલાં જ થઇ ગઇ હતી. માણસ લખતા વાંચતા તો બહુ મોડો શીખ્યો, બોલતા તો પહેલેથી આવડતું જ હતું. જોક્સના કિસ્સામાં પણ એ સત્ય જ બહાર આવ્યું છે કે, સૌથી વધુ જોક્સ કરુણ સમયમાં જ લખાયા છે. રજનીશે દુનિયાના જોક્સ પર એક ખૂબ જ સુંદર પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું નામ છે, ટેક ઇટ રિયલી સિરિયસલી. આ બુકમાં પાંચ હજાર જોક્સ છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં રજનીશે એક સરસ વાત લખી છે. ઓશોએ લખ્યું છે કે, જ્યારે તમે દિલ્હી અને પંજાબ જાવ અને ત્યાંના જોક્સ સાંભળો તો તેમાં મુખ્ય પાત્ર સરદાર હોય છે. એ જ જોક પાકિસ્તાનમાં પણ સાંભળવા મળે છે. પાકિસ્તાનના જોકમાં પાત્ર સરદાર નથી હોતાં પણ પઠાણ હોય છે. તેનાથી પણ મજેદાર વાત એ છે કે, સેમ જોક્સ બ્રિટનમાં પણ સાંભળવા મળે છે. ત્યાં પાત્ર સરદાર કે પઠાણ નહીં પણ આઇરીશ હોય છે. આ જ જોક અમેરિકામાં પણ સાંભળવા મળે છે. ત્યાં પાત્ર ટેક્સન થઇ જાય છે. જોક એક જ હોય છે. લોકો પોતાના હિસાબે એમાં સ્થાનિક કેરેક્ટરને ગોઠવી દે છે. એ હિસાબે જોક યુનિવર્સલ છે. એક જ જોક આખી દુનિયામાં અલગ અલગ ભાષામાં ફરે છે. અહીં એક સૌથી મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે, આ જોક્સ ખરેખર કેટલા જૂના છે? એ ખરેખર ક્યારે લખાયા છે? આ વિશે પણ રજનીશે રસપ્રદ વાત કરી છે. અત્યારે આપણે સહુ જે જોક્સ સાંભળીએ છીએ તેમાં 90થી 95 ટકા જોક્સ 17 અને 18મી શતાબ્દીમાં લખાયા અથવા તો કહેવાયા છે. એમાં પણ સૌથી વધુ જોક્સ યહૂદીઓ દ્વારા કહેવાયા છે! એ યહૂદીઓ જેમના પર દુનિયામાં સૌથી વધુ અત્યાચારો થયા છે. સરવાળે કહેવાનો જે મતલબ છે એ એવો છે કે, તમે જ્યારે અતિશય અને અસંખ્ય પીડા અને પ્રોબ્લેમમાંથી પસાર થઇ રહ્યા હોવ છો ત્યારે તમે એના પર હસો છો. એક રીતે સમસ્યાઓને હસી કાઢવાની આ રીત છે. એ રીતે માણસ હળવા થવાનો પ્રયાસ કરે છે. પેઇનમાંથી સાચો છુટકારો હાસ્ય જ આપી શકે છે.
વેદના, પીડા, દર્દ, ચિંતા, ઉપાધિ, સ્ટ્રેસ હોય કે ન હોય, હાસ્યને જિંદગીમાં અજમાવવા જેવું અને અપનાવવા જેવું છે. એક સરસ મજાની વાર્તા છે. એક દર્દી ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને તેણે કહ્યું કે, જીવવાની મજા નથી આવતી. ડોક્ટરે કહ્યું, એક દવા સજેસ્ટ કરું છું. રોજ થોડું થોડું હસવાનું રાખો. દર્દી ચાલ્યો ગયો. થોડા દિવસ પછી ફરીથી આવ્યો. દર્દીએ કહ્યું, થોડોક ફેર પડ્યો છે, પણ હજુ જેવી મજા આવવી જોઇએ એવી મજા આવતી નથી. ડોક્ટરે કહ્યું, એવું છે? એક કામ કરો, ડોઝ વધારી દો! થોડુંક હસવાનું વધારી દો. અમે જ્યારે કોઇ દર્દીને દવા પૂરી અસર ન કરતી હોય ત્યારે ડોઝ વધારી દઇએ છીએ. હસવાનું વધારી દો, બધું સારું થઇ જશે! આજના સમયમાં ખડખડાટ હસતા લોકો જોવા મળતા નથી. તમે જ વિચાર કરજો, પેટમાં દુખવા માંડે એવું છેલ્લે તમે ક્યારે હસ્યા હતા? ક્યારે સાથે હોય એને કહ્યું હતું કે, બસ યાર, રહેવા દે, પેટમાં દુખવા લાગ્યું છે. તમને ખબર છે, લોકો હવે જાહેરમાં હસવાને પણ અયોગ્ય માનવા લાગ્યા છે. હાસ્યના કાર્યક્રમમાં ગયા હશે તો પણ હસશે નહીં. કોઇ જુએ તો કેવું લાગે? હવેનો માણસ ખોવાઇ શકતો નથી! હસવાની સાચી મજા પણ પોતાના લોકોની સાથે જ છે. હવે લોકો ખાનગીમાં રીલ જોઇને થોડુંક થોડુંક હસી લે છે. હસવામાં પણ લોકો કંજૂસાઇ કરવા લાગ્યા છે.
આપણે બધાએ એક વાત યાદ રાખવા જેવી છે. સમસ્યાઓ રહેવાની જ છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, કોઇ ને કોઇ પડકારો આવતા જ રહેવાના છે. બધું જ સારું હોય એવું ક્યારેય થવાનું નથી. ક્યારેક એવું લાગે તો પણ એ લાંબું ટકવાનું નથી. કોઇ પણ સમસ્યાને વધુ પડતી સિરિયસલી ન લો. ગમે એ પરિસ્થિતિમાં જિંદગીમાંથી હસવાનું ગાયબ ન થઇ જાય એની કાળજી રાખો. લાઇફ માટે જેમ બીજી સેન્સ જરૂરી છે એની જેમ જ સેન્સ ઓફ હ્યુમર પણ આવશ્યક છે. સમયે સમયે એ ચેક કરતા રહેવાનું કે, મારું હસવાનું ઘટી તો નથી ગયુંને? હસતા રહો, જિંદગી વધુ મજેદાર અને જીવવા જેવી લાગશે!
—————-
પેશ-એ-ખિદમત
કુછ ન હોગા ગિલા ભી કરને સે,
જાલિમોં સે ગિલા કિયા ન કરો,
અપને રુત્બે કા કુછ લિહાજ `મુનીર’,
યાર સબ કો બના લિયા ન કરો.
– મુનીર નિયાજી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 30 એપ્રિલ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
