SILENT DEVORCE : એવા છૂટાછેડા જેની સંખ્યા સતત વધતી જ જાય છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

SILENT DEVORCE :
એવા છૂટાછેડા જેની સંખ્યા
સતત વધતી જ જાય છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

પતિ-પત્ની સાથે રહે છે, પણ પ્રેમનું તત્ત્વ ગુમ હોય છે. વાતો ઘટી છે.
વ્યવહાર બદલાયો છે. દાંપત્ય દૂર દૂર સુધી નજરે પડતું નથી


———–

મુંબઇમાં હમણાં બનેલી આ એક સાવ સાચી ઘટના છે. પતિ ઘરમાં બેહોશ થઇ ગયો. પત્નીએ એમ્બ્યુલન્સ બોલાવી. હોસ્પિટલમાં બેહોશ યુવાનની પત્નીને ડોક્ટરે સવાલ કર્યો, તમારા હસબન્ડની કોઇ દવા ચાલે છે? પત્નીએ જવાબ આપ્યો, મને ખબર નથી. ડોક્ટરે આશ્ચર્ય સાથે પૂછ્યું, તમારા હસબન્ડની કોઇ દવા ચાલે છે કે નહીં એ પણ તમને ખબર નથી? એ યુવતી બોલી, એ ભાનમાં આવે ત્યારે એમને પૂછજો કે તમારી પત્નીની કઇ દવા ચાલે છે એ તમને ખબર છે?
બીજી એક ઘટના અમદાવાદની છે. અમદાવાદના એક ડોક્ટર મિત્રએ કહ્યું કે, પહેલાંના સમયમાં પતિ-પત્ની બેમાંથી એકને સારું ન હોય ત્યારે બંને સાથે દવા લેવા આવતાં. હવે મેરિડ વ્યક્તિ પણ એકલી દવા લેવા આવે છે. કેટલાક કિસ્સામાં બંને સાથે આવે છે ત્યારે વિચિત્ર દૃશ્યો જોવા મળે છે. પત્નીને તપાસીને તેને દવાની સૂચના આપતો હોઉં ત્યારે પતિનું ધ્યાન એના મોબાઇલમાં હોય છે. માત્ર પતિઓ જ આવા છે એવું બિલકુલ નથી, પત્નીઓનું પણ ધ્યાન હોતું નથી. તને કેમ છે? તેં દવા લીધી કે નહીં? તેં કંઇ ખાધું? એવું પૂછવાનું ઘટી રહ્યું છે. તારી દવાના ટાઇમિંગનું એલાર્મ મૂકી દેજે એવું કહેવાને પણ હવે કેર કરી હોવાનું માનવામાં આવે છે. એક સમયે પતિ કે પત્ની ઊંહકારો કરે તો પણ બીજી વ્યક્તિને ખબર પડી જતી હતી. સામાન્ય તાવ આવ્યો હોય તો પણ ચેન પડતું નહોતું. હવેના સમયમાં પતિ-પત્નીને એકબીજાની કંઇ ખબર જ નથી હોતી. બધા કિસ્સામાં આવું નહીં હોય, પણ એક મોટી સંખ્યા એવી છે જે રહે છે સાથે પણ સાથે જીવતા નથી.
વિદેશમાં આજકાલ એક નવો શબ્દ અસ્તિત્ત્વમાં આવ્યો છે. એ છે સાઇયન્ટ ડિવોર્સ! ભેગાં રહેતાં હોય પણ બંને પોતપોતાનું જ કરતાં હોય! એટેચમેન્ટ જેવું કંઇ હોતું નથી. એક છત નીચે રહેવું એ દાંપત્ય નથી. એકબીજામાં ઓતપ્રોત હોવું એ દાંપત્ય છે. પતિ-પત્ની શારીરિક જ નહીં, માનસિક રીતે પણ દૂર થતાં જાય છે. કાનૂની રીતે પતિ-પત્ની હોય છે, એક જ ઘરમાં રહેતાં હોય છે, પણ એકબીજાની કોઇ પરવા હોતી નથી. બેમાંથી કોઇ બહાર હોય ત્યારે કોણ ક્યાં ગયું છે, શું કરે છે, ક્યારે આવવાનું છે એની પણ જાણ હોતી નથી. મૌન ડિવોર્સની કેટલીક નિશાનીઓ ઊડીને આંખે વળગે એવી છે. પતિ-પત્ની વચ્ચે વાતો થતી નથી અને વાત થાય તો પણ એ ફોર્મલ જ હોય છે. બંને સાથે બેસીને સુખ-દુ:ખની વાત કે કોણે શું કર્યું તેની વાત પણ એકબીજાને કરતાં નથી.
હવેના સમયમાં બંને જોબ કરતાં હોય એવાં કપલ્સની સંખ્યા વધી ગઇ છે. જો પ્રેમ હોય તો ઘરે આવીને બંને એકબીજાને પૂછે છે કે, તારો દિવસ કેવો રહ્યો? હવે વાત કરવાનો વિચાર આવે તો પણ એવું થાય છે કે, રહેવા દેને! એને ક્યાં કંઇ ફેર પડે છે? એને કંઇ કહીશ તો વળી એ વાતનું વતેસર કરવા માંડશે, શિખામણ આપવા માંડશે અને ઝઘડો થઇ જશે. એના કરતાં કંઇ કહેવામાં માલ નથી. બેમાંથી કોઇને એ વાતની પણ ખબર નથી હોતી કે, મારો પાર્ટનર કેવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. મૌન છૂટાછેડાને કેટલાક લોકો અદૃશ્ય છૂટાછેડા પણ કહે છે. ઘણાં કપલ્સ કેટલાક વ્યવહાર નિભાવવા માટે સાથે હોય છે. એ બંનેને જોઇને એવું લાગે કે, કેટલી સરસ જોડી છે! પણ વાસ્તવિકતા સાવ અલગ જ હોય છે. નિભાવવા ખાતર ઘણું બધું નિભાવાતું હોય છે.
મૌન ડિવોર્સના કિસ્સામાં ફિઝિકલ રિલેશન્સ પણ ઘટી જાય છે. મનમેળ જ ન હોય ત્યાં તનમેળ ગુમ જ રહેવાનો છે. સાયલન્ટ ડિવોર્સના કિસ્સામાં એક રસપ્રદ બાબત એ છે કે, બંને વચ્ચે ઝઘડા પણ થતા નથી. ઝઘડા વિશેની એક હકીકત એ છે કે, એકબીજા પ્રત્યે થોડી ઘણીયે લાગણી કે એકબીજા માટે થોડીકેય ચિંતા હોય તો ઝઘડા થાય છે. એને જે કરવું હોય એ કરે, મને કોઇ ફેર પડતો નથી એવી સ્થિતિ સર્જાય ત્યારે માણસ ઝઘડા કરવાનું પણ બંધ કરી દે છે. હું ગમે તે કહું એને કોઇ ફેર પડવાનો નથી. એને જે કરવું હશે એ જ કરશે એવી માન્યતા દૃઢ થઇ જાય છે.
પતિ-પત્નીને એકબીજા પાસેથી કોઇ ને કોઇ અપેક્ષા હોવાની જ છે. તું મારા માટે આમ કરે, તેમ કરે, મને પેમ્પર કરે એવી લાગણી પણ બંને પક્ષે હોય છે. બંને એકબીજાને ખુશ રાખવાના પ્રયાસો પણ કરતાં રહે છે. સાયલન્ટ ડિવોર્સના કિસ્સામાં બેમાંથી કોઇને એકબીજા પાસે કોઇ અપેક્ષા પણ રહેતી નથી! કેટલીક વખત તો એવું થાય છે કે, એક વ્યક્તિ કંઇક કરે તો બીજી વ્યક્તિને આશ્ચર્ય થાય છે. આજે દિવસ કઇ તરફ ઊગ્યો છે કે, એને મારો વિચાર આવ્યો! કેટલાંક કપલ એવાં હોય છે જે માત્ર સંતાનો ખાતર જ સાથે રહેતાં હોય છે. દુનિયાને એવું લાગે કે બંને ભેગાં રહે છે એટલા ખાતર સાથે રહેનારાં કપલ્સ પણ છે. ફેમિલી ડિવોર્સ લેવાની મંજૂરી આપતું નથી એટલે સાથે રહ્યા વગર છૂટકો હોતો નથી. કેટલાક કિસ્સામાં આર્થિક નિર્ભર હોવાના કારણે પણ ગાડું ગબડાવતાં હોય છે. પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિ સતત વધી રહી છે.
અમુક વખતે પતિ-પત્ની એવું પણ વિચારતાં હોય છે કે, કદાચ કંઇક સારું થઇ જશે. પતિ-પત્નીને બનતું ન હોય એવા કિસ્સામાં ઘણા વડીલો એવું પણ કહેતા હોય છે કે, એ તો છોકરાં થઇ જશેને એટલે બધું સરખું થઇ જશે! અલબત્ત, દરેક કિસ્સામાં એવું થાય એ જરૂરી નથી. એક તો હવે છોકરા અને છોકરીઓની માનસિકતા બદલાઇ રહી છે. અધૂરામાં પૂરું ટેક્નોલોજીએ નવી મુશ્કેલીઓ ઊભી કરી છે. પતિ-પત્ની બંને ઘરમાં હોય ત્યારે પણ એકબીજા સાથે વાત કરવાને બદલે મોબાઇલને વળગેલાં હોય છે. પોતાની મસ્તીમાં હોય છે. પોતાની વ્યક્તિને મન થાય એમ કરવા દે છે અને ઉપરથી એમ કહે છે કે હું તો તેને સ્પેસ આપું છું! મોકળાશ અને હળવાશ આપવાનો મતલબ પણ હવે સાવ બદલાઇ ગયો છે.
પતિ-પત્ની વચ્ચે રિલેશનશિપ ક્રાઇસિસ સતત વધી રહી છે. સાયલન્ટ ડિવોર્સ મુદ્દે માનસશાસ્ત્રીઓ એવું પણ કહે છે કે, મૌન છૂટાછેડા રાતોરાત નથી થતા, એક પ્રોસેસ હોય છે, ધીમે ધીમે ડિસ્ટન્સ વધતું જાય છે. કપલ્સ માટે સૌથી વધુ જરૂરી એ છે કે, પોતાના સંબંધો પર નજર રાખે. અમારા વચ્ચે ગેપ તો નથી આવી ગઈને? તમારી વ્યક્તિની કેર કરો. હવે આઇ લવ યુ કહેવાનું પણ ઘટી રહ્યું છે. સમયાંતરે એકબીજાને એ પણ કહેવું જોઇએ કે, તું મારા માટે બહુ મહત્ત્વની છે કે છો, તારાથી મને બહુ ફેર પડે છે, તું છે તો મને જિંદગી જીવવા જેવી લાગે છે. એ પણ કહેવા ખાતર નથી કહેવાનું, એ ફીલ થવું જોઇએ. માત્ર બર્થડે કે એનિવર્સરીના દિવસે કેક કાપીને સેલિબ્રેશન કરી લેવાથી વાત પૂરી નથી થઇ જતી. સાયલન્ટ ડિવોર્સના કિસ્સામાં કપલ્સ સાથે ફરવા પણ નથી જતાં. બંને પોતપોતાના ફ્રેન્ડ્સ સાથે જ બહાર જતાં હોય છે.
સંબંધનું પોત ધીમે ધીમે પાતળું પડે છે. સંબંધને તૂટવા દેવો ન હોય તો એકબીજાની પરવા કરવી જોઇએ. ડિસ્ટન્સ આવવા લાગે ત્યારે સિગ્નલ્સ મળતાં હોય છે. આપણને અણસાર આવતો હોય છે કે, અમારા વચ્ચે અંતર વધી રહ્યું છે. એ વખતે સજાગ થઇ જવાની જરૂર હોય છે. કપલ્સ સજાગ થવાને બદલે બેપરવા થઇ જાય છે. માણસ ગમે એવો હોય, દરેકમાં કેટલીક ખૂબીઓ અને કેટલીક ખામીઓ પણ હોવાની જ છે. પોતાની વ્યક્તિ જેવી છે એવી સ્વીકારીને તેની સાથે જિંદગી મજાથી જીવવી એ જ સાચું દાંપત્ય છે. હવેનો સમય એવો છે કે, માણસે ચેક કરતું રહેવું પડે કે, બધું ઓકે છેને? બંને માટે જરૂરી એ છે કે, સંબંધ અને સંવાદ સજીવન રહેવો જોઇએ, તો જ સહજીવન જેવું લાગશે.


—————-

પેશ-એ-ખિદમત
તુમ પે ક્યા બીત ગઇ કુછ તો બતાઓ યારોં,
મૈં કોઇ ગૈર નહીં હૂં કિ છુપાઓ યારોં,
એક ભી ખ્વાબ ન હો જિનમેં વો આંખેં ક્યા હૈ,
ઇક ન ઇક ખ્વાબ તો આંખોં મેં બસાઓ યારોં.
– જાં નિસાર અખ્તર


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 મે, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *