તેં તારા આ કેવા હાલ કરી નાખ્યા છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તેં તારા આ કેવા
હાલ કરી નાખ્યા છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જો ન ખબર પડે તો બસ સવાલ પૂછી જો,
નહીં તો એક જ રસ્તો છે, વાડ કૂદી જો.
– હરીશ શાહ



જિંદગીનો સ્વભાવ પડકારો આપવાનો છે. જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. એની ફિતરત જ અવળચંડી છે. કદાચ જિંદગી એકસરખી હોત તો જીવવાનો ચાર્મ પણ ન રહેત. દુ:ખ છે તો જ આપણને સુખની પરવા છે. વેદના છે તો જ આનંદનું મૂલ્ય છે. પીડા અને દર્દ કોઇ ને કોઇ સ્વરૂપે ત્રાટકતાં રહેવાનાં છે. બધું સરખું ચાલ્યું જતું હોય ત્યાં જ અચાનક કંઇક એવું થાય છે જે માણસને મૂંઝવી નાખે છે. દુનિયામાં કોઇ માણસ એવો નહીં હોય જેને ક્યારેય વિપદા ન આવી હોય. કરુણતા એ છે કે, આપણે વેદના અને પીડાને પંપાળતા રહીએ છીએ. કોઇને પણ સવાલ કરો કે, તમારી જિંદગીમાં સૌથી કપરો સમય કયો હતો તો એ ફટ દઇને કહી દેશે કે મારો એ સમય બહુ અઘરો હતો. બીજો સવાલ એ કરો કે, સૌથી બેસ્ટ ટાઇમ કયો હતો, તો એને જવાબ આપતા પહેલાં થોડોક વિચાર કરવો પડશે. સારું બહુ ઓછું યાદ રહે છે અને ખરાબ ઘડીકમાં ભુલાતું નથી. જિંદગીનો આધાર એના પર રહેતો હોય છે કે, આપણે શું યાદ રાખીએ છીએ અને શું ભૂલી જઇએ છીએ. જેનામાં ભૂલી જવાની આવડત છે એ સુખની વધુ નજીક રહે છે. કોઇ વખાણ કરશે તો આપણને ગમશે પણ લાંબો સમય યાદ નહીં રહે, કોઇ જરાકેય ટીકા કરશે અથવા તો ખૂંચે એવું બોલશે તો આપણે ક્યારેય નહીં ભૂલીએ. એણે મને આવું કહ્યું હતું, મારાથી એ ભુલાતું જ નથી. હું એને ક્યારેય માફ નહીં કરું! કોઇ તો એક વાર કહે છે પણ આપણે એ જ વાત આપણી જાતને હજાર વાર કહેતા રહીએ છીએ અને દરેક વખતે એ પીડાનો અનુભવ કરીએ છીએ. એમાંથી મુક્ત થવું પડતું હોય છે.
ઉદાસી, નારાજગી અને ગુસ્સાની અસર સીધી આપણા અસ્તિત્ત્વ પર થતી હોય છે. આપણા વિચારો આપણા ચહેરા પર તરવરી જાય છે. ગુસ્સામાં હોય એનો ચહેરો ક્યારેય સૌમ્ય નથી લાગવાનો. આપણા મનમાં જે ચાલતું હોય છે, એની ચાડી ચહેરો ફૂંકી દે છે. એક છોકરીની આ વાત છે. પ્રચંડ બુદ્ધિશાળી એ છોકરીને એક છોકરા સાથે પ્રેમ થયો. સમય જતાં સમજાયું કે, પોતે જેને પ્રેમ કરે છે એ છોકરો સારો નથી. એણે જ બ્રેકઅપ કર્યું, પણ એનાથી એ વાત સહન થતી નહોતી કે, મારાથી તેને ઓળખવામાં ભૂલ કેમ થઇ ગઇ? હું મૂરખ બની. એ ડિસ્ટર્બ રહેવા લાગી. આંખોની ફરતે કૂંડાળાં થઇ ગયાં. એની સ્થિતિ જોઇને તેની ફ્રેન્ડે કહ્યું, આ તેં તારી શું હાલત કરી નાખી છે? તારું મોઢું તો જો! ક્યાં ગઇ તારા ચહેરાની રોનક? તું તો વિચારોનો ધોધ છે, તારા વિચારોના આ ધોધને ગટરમાં ન વહેવા દે! જે થઇ ગયું એમાંથી બહાર નીકળ. જિંદગીમાં આપણી સાથે કંઇ ન ગમે એવું બને ત્યારે આપણે કોઇને દોષ દેવો ન જોઇએ. એમાંયે પોતાની જાતને તો ક્યારેય દોષી ન ગણવી જોઇએ. ભૂલ થઇ જાય તો એને સુધારવાની, એમાંથી શીખવાનું પણ એમાં પડ્યા નહીં રહેવાનું, તારા વિચારોને ડાયવર્ટ કર અને એને સાચી અને સારી દિશા આપ!
કેવું છે! ઘણી વખત આપણને કોઇ કહે ત્યારે ભાન થાય છે કે, આપણે કેવા થઇ ગયા છીએ! આપણે રોજ અરીસામાં આપણું મોઢું જોતા હોઇએ છીએ, પણ ચહેરા પર આવતા બદલાવને ઘણી વખત સમજી શકતા નથી. ચહેરાને સમજવા માટે વિચારોને સમજવા પડે છે. પ્રફુલ્લિત ચહેરો તો જ હોવાનો જો આપણા વિચારો ઉમદા હોય. એક દલીલ એવી પણ થઇ શકે કે, વિચારો પણ આખરે તો સમય અને સંજોગો પર આધાર રાખે છેને? સાચી વાત છે, કોઇ અણગમતી ઘટના બને ત્યારે ઉદાસી થવાની જ છે. થવી પણ જોઇએ. એ જ તો આપણી સંવેદનશીલતા પ્રગટ કરે છે. ગમે તે બને અને કંઇ અસર ન થાય ત્યારે આપણે જ કહેતા હોઇએ છીએ કે, કેવો જડ જેવો છે અથવા તો કેવી જડ જેવી છે! જિંદગીમાં જડ જેવા નહીં પણ જળ જેવા થવું પડે છે, વહેતા રહેવું પડે છે. દરેક વખતે વહેણ સીધું નહીં જ હોવાનું, ક્યારેક વળાંક તો આવવાનો જ છે. કોઇ ઝરણું વળાંક આવ્યે અટકી નથી જતું. પહાડ હોય તો ધોધ બનીને પણ વહેતું રહે છે!
જિંદગીમાં માણસે જુદા જુદા સ્તરે જીવવાનું હોય છે. જિંદગીમાં પહેલાં સમજણ, પછી બુદ્ધિ અને પછી જ્ઞાનનો ઉમેરો થવો જોઇએ. આપણે ભલે જ્ઞાની ન થઇ શકીએ, સમજું થઇએ તો પણ ઘણું છે. વ્યાવહારિકતા હોય તો પણ પૂરતું છે. જિંદગીને સમજવી પડે છે અને સમજ્યા પછી જિંદગી જેવી છે એવી સ્વીકારવી પડે છે. આ સ્વીકાર પણ સહજ હોવો જોઇએ. જિંદગી સામે ફરિયાદો કરવાનો કોઇ અર્થ હોતો નથી. સમજ એ જ છે કે, આપણે આપણને મળેલી જિંદગીમાંથી સુખ, આનંદ અને ખુશી શોધીએ. શોધીએ તો મળે. જિંદગી જીવતા શીખવું પડે છે. અનુભવો આપણને જિંદગી જીવતા શીખવાડે છે. ઘણી વખત આપણને જે અનુભવો થાય છે એમાંથી કંઇ શીખવા કે સમજવાના બદલે તેની સામે ફરિયાદો કરીએ છીએ. ઉધામા મચાવીએ છીએ. શાંત થવાનું હોય ત્યારે નારાજ કે ઉદાસ થઇએ છીએ.
દરેક માણસની પોતાની એક ઔરા હોય છે. ઔરા સારી પણ હોય છે અને બૂરી પણ હોય છે. ઔરા એમ જ નથી બનતી. એની પાછળ આપણી વૃત્તિ અને પ્રકૃતિ કારણભૂત હોય છે. તમે તમારી પ્રકૃતિનું ક્યારેય અવલોકન કર્યું છે? પ્રકૃતિ બદલતી રહે છે. બદલે એનો વાંધો નથી, બગડે નહીં એની કાળજી રાખવી પડતી હોય છે. કેટલાક લોકોની વાતો સાંભળીને અને વર્તન જોઇને આપણે એવું કહીએ છીએ કે, એ માણસ કેવો થઇ ગયો? પહેલાં એ આવો હતો નહીં? આપણને આપણી કેટલી ખબર હોય છે કે, હું કેવો હતો અને કેવો થઇ ગયો છું? બનવા જોગ છે કે આપણે સારા પણ થયા હોઇએ. આપણને એની પણ ખબર હોવી જોઇએ કે, આપણે સારા થઇ રહ્યા છીએ. સારા થતાં હોઇએ એનું ભાન હોય એને જ ખબર પડતી હોય છે કે, ખરાબ થતા નથી. માણસે સમયે સમયે પોતાનું મૂલ્યાંકન પણ કરવું પડતું હોય છે. જિંદગીમાં જેટલા દિવસોનો ઉમેરો થાય છે એની સાથે સમજણમાં કેટલો વધારો થાય છે? સમજુ થયા હોય તો પણ એક વાતનું ધ્યાન રાખવું પડતું હોય છે કે, જ્ઞાનનો કોઇ ભાર ન લાગે! સાચું જ્ઞાન એ છે જે માણસને હળવો બનાવે. એક વ્યક્તિની આ વાત છે. તે ખૂબ હોશિયાર હતો. ધીમે ધીમે તેને અનેક એવોર્ડ મળવા લાગ્યા. એની નામના થઇ ગઇ. એ માણસને પછી એવું થવા લાગ્યું કે, હું તો કંઇક છું. બીજા બધાને એ તુચ્છ સમજવા લાગ્યો. કોઇને ગણકારે નહીં. એક વખત તેના મિત્રએ કહ્યું, તમને કોઇની નજીક લઇ જાય એ જ સાચું જ્ઞાન છે, દૂર લઇ જાય એ નહીં! તું તો બધાથી દૂર થઇ રહ્યો છે. તને ખબર છે, દરેક સારો માણસ જ્ઞાની હોય એ જરૂરી નથી પણ દરેક જ્ઞાની માણસ સારો હોય એ વધુ જરૂરી છે. ઘણા લોકો સ્વભાવે જ સારા હોય છે. ઉદાર, દયાળુ અને સહિષ્ણુ હોય એ માણસ દરેકને સ્પર્શે છે. કોઇને આપણી સાથે વાત કરવાનું મન ન થાય તો આપણી આવડત, બુદ્ધિ કે જ્ઞાનનો કોઇ મતલબ નથી. ગમે એ સ્થાને પહોંચી જઇએ, પણ આપણા લોકોથી દૂર થઇ જઇએ તો એ સિદ્ધિ સાર્થક બનતી નથી. ભારે રહેનારા લોકો મોટાભાગે પોતાના વજનથી જ દબાઇ અને દટાઇ જતા હોય છે. હળવા રહેનારા જ હસતા અને બધા સાથે હળતા મળતા રહે છે. પ્રભુત્ત્વ કેળવવું અને વર્ચસ્વ જમાવવું એમાં બહુ મોટો ફેર છે. સાચી જિંદગી એ જ છે કે, જીવવાની મજા આવે. તમને જિંદગી જીવવાની મજા આવે છે? ન આવતી હોય તો સમજવું કે આપણે ખોટા રસ્તે છીએ. સાચા રસ્તા દૂર નથી હોતા, આપણે બસ એ તરફ પગલાં માંડવાનાં હોય છે.
છેલ્લો સીન :
દરેક પોતાના પ્રોબ્લેમ અને પડકારોનો સામનો કરતા જ હોય છે. ફેર એટલો જ હોય છે કે, ઘણા હિંમતભેર પડકારોનો સામનો કરે છે અને કેટલાક રોદણાં રડવામાંથી નવરા નથી પડતા. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 18 મે, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *