સાવધાન : AI ની સલાહ માનતા પહેલાં સો વાર વિચાર કરજો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સાવધાન : AI ની સલાહ માનતા
પહેલાં સો વાર વિચાર કરજો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

પહેલાં લોકો ગૂગલ ગુરુના રવાડે ચડ્યા હતા,
હવે એઆઇ જનરેટેડ પ્લેટફોર્મ પર મચ્યા રહે છે.
માહિતી માટે એઆઇ ઠીક છે, પણ સંબંધો અને સ્વાસ્થ્ય
માટે તેના પર આધાર રાખવામાં જોખમ છે


———–

અત્યારના અત્યાધુનિક યુગમાં તમામે તમામ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જબરદસ્ત બોલબાલા છે. એઆઇએ માણસની જિંદગીમાં કેવાં કેવાં પરિવર્તનો આણ્યાં છે અને હજુ ભવિષ્યમાં એઆઇ કેવા ચમત્કારો કરવાનું છે એના વિશે આંખો પહોળી કરી દે એવી માહિતીઓ રોજેરોજ આવતી રહે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોની નોકરીઓ ખાઇ જશે. એઆઇ સરવાળે દુનિયા માટે ઘાતક નીવડશે એવું કહીને વિરોધ કરનારાઓનો પણ મોટો વર્ગ છે. સામા પક્ષે એવું કહેવાવાળા લોકો પણ છે કે, એઆઇ લોકોની લાઇફ વધુ સરળ બનાવશે. દરેક પાસે પોતપોતાનાં તર્ક, દલીલો અને મંતવ્યો છે. પસંદગીથી માંડીને પ્રાયવસીના મામલે એઆઇની ભૂમિકા સામે સવાલો ખડા થઇ રહ્યા છે. એ બધું તો ઠીક છે પણ લોકો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે કહેલા રસ્તાઓ અપનાવીને આંધળૂકિયાં કરવા લાગ્યા છે. પહેલાં જેમ ગૂગલ ગુરુના રવાડે લોકો ચડ્યા હતા, એમ હવે એઆઇના ચાળે ચડ્યા છે. આ મુદ્દે નિષ્ણાતો એવું કહે છે કે, કામની બાબતોમાં તમે એઆઇની હેલ્પ લો એમાં કશું ખોટું નથી, પણ પર્સનલ મામલાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વચ્ચે ન લાવો એ જ બહેતર છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપેલા ખોટા ઉકેલ અને ગેરવાજબી સલાહની ઘણી વાતો ચાલતી રહે છે. અત્યારે એઆઇ જનરેટેડ અનેક પ્લેટફોર્મ અવેલેબલ છે. ચેટજીપીટી, જેમીની, ડિપસિક સહિતના અનેક ચેટબોટની લોકો મદદ લઇ રહ્યા છે. એમાં કંઇ ખોટું નથી, પણ દરેક વાત એને પૂછી પૂછીને કરવાની કંઇ જરૂર નથી. માણસે કૃત્રિમ બુદ્ધિને બદલે પોતાની બુદ્ધિનો બને એટલો વધુ ઉપયોગ કરવો જોઇએ. ગ્રીસના એક કિસ્સાએ આજકાલ જબરી હલચલ પેદા કરી છે. ગ્રીક ટીવી પર ટુ પ્રોઇનો નામનો એક માર્નિંગ શો આવે છે. આ શોમાં એક યુવાને ભાગ લીધો હતો. તેણે એવું કહ્યું કે, ચેટજીપીટીએ તેની ખુશહાલ જિંદગીનો ભોગ લીધો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક ટ્રેન્ડના આધારે આ માણસની પત્નીએ પોતાની પર્સનલ લાઇફ વિશેનું એનાલિસિસ કરવા માટે એક ફોટો એઆઇ પ્લેટફોર્મ પર મૂક્યો હતો. આના જવાબમાં એઆઈ પ્લેટફોર્મે એવું કહ્યું કે, તારા પતિનું બીજી કોઇ સ્ત્રી સાથે લફરું ચાલે છે. જેની સાથે તારા પતિનું અફેર છે એનું નામ ઇથી શરૂ થાય છે. બંને વચ્ચે લાંબા સમયથી સંબંધ છે. બસ, આટલી વાત જાણીને પત્નીનું મગજ છટક્યું. તેણે તરત જ પોતાના લોયરનો સંપર્ક કર્યો અને ડિવોર્સ પેપર બનાવવાનું કહ્યું. સંતાનોને કહી દીધું કે, અમે બંને ડિવોર્સ લઇએ છીએ. લાંબું વિચાર્યા વગર તેણે પતિ સામે ડિવોર્સ પેપર ફાઇલ કરી દીધા. પતિએ કહ્યું, હું તો પહેલાં એઆઇની આવી વાત પર હસતો હતો, પણ પત્નીએ તેને સિરિયસલી લઇ લીધી. સામાન્ય સંજોગોમાં પત્નીને કે પતિને બીજા કોઇ સાથે અફેર છે તેની ખબર પડે તો સાથે બેસીને વાત કરે છે. વાત સાચી હોય તો વાત ડિવોર્સ સુધી પહોંચે છે. આ કેસમાં તો ગુજરાતી કહેવત ભેંસ ભાગેળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ જેવું થઇ ગયું. ગ્રીસનો આ કિસ્સો તો ગાજ્યો એટલે ખબર પડી, બાકી તો આવું ઘણું થતું હશે!
ગ્રીસની યુવતીની જેમ જ અમેરિકાની એક છોકરીને પણ એઆઇ ચેટબોટ જેમીનીએ ન કહેવાનું કહ્યું હતું. મિશિગનની સ્ટુડન્ટ્સ સુમેધા રેડ્ડીએ પોતાના એક એસાઇનમેન્ટ માટે ચેટબોટને એવો સવાલ કર્યો હતો કે, માણસ જેમ જેમ મોટો થાય છે એમ એમ તેણે કેવા પડકારોનો સામનો કરવો પડે છે? આમ જુઓ તો આ સવાલ એકદમ સીધો સાદો છે. ચેટબોટે જે જવાબ આપ્યો એણે એ છોકરીનું મગજ ફેરવી નાખ્યું. ચેટબોટે જવાબ આપ્યો કે, તારું કોઇ જ મહત્ત્વ નથી, તું સમય અને શક્તિ વેડફે છે, તું પૃથ્વી પર એક સામાન્ય જંતુ છે, તું દુનિયા પર એક ડાઘ છે, મહેરબાની કરીને તું મરી જા! આ જવાબ મેળવીને એ છોકરી રીતસરની ડઘાઇ ગઇ હતી. એનો ભાઇ એ સમયે તેની સાથે હતો, તેણે બહેનને સંભાળી લીધી હતી. આ મામલો જેમીની સુધી પહોંચ્યો હતો. તેણે એવો ખુલાસો કર્યો કે, લાર્જ લેંગ્વેજ મોડલ ઘણી વખત ખરાબ અને ખોટા જવાબો આપી શકે છે. ભવિષ્યમાં આવું ન થાય એનું અમે ધ્યાન રાખીશું.
મારે શું ખાવું એવા એક સવાલના જવાબમાં એક એઆઇ ચેટબોટે રોજ એક પથ્થર ખાવાની સલાહ આપી હતી. બીજા એક કિસ્સામાં પિતા સાથે કેવી રીતે ડીલ કરવું તેના સવાલના જવાબમાં પિતા નક્કામો હોવાનું કહી તેને મારી નાખવા સુધીની વાત કહેવામાં આવી હતી. ઘણી વખત તો સામાન્ય માહિતી માંગો તો પણ ચેટબોટ ઊંધા જવાબો આપે છે. લોકો હવે રિલેશનશિપની સમસ્યાઓ માટે પણ એઆઇનો સહારો લેવા માંડ્યા છે. મારે મારા પ્રેમી સાથે આ મુદ્દે ઝઘડો થયો છે તો શું કરવું જોઇએ? મારી પ્રેમિકા મને મારા મેસેજનો જવાબ નથી આપતી, એ કેમ આવું કરતી હશે? લોકો સંબંધોથી માંડીને સેક્સલાઇફ સુધીના સવાલો એઆઇને કરવા લાગ્યા છે. આ બધું જોખમી છે. કેટલીક ઘટનાઓ એક સરખી હોવા છતાં તેનાં કારણો અને પરિણામો જુદાં જુદાં હોય છે. બધામાં એક સરખા નિયમ કે ઉપાય લાગુ ન પડે. પાડવા પણ ન જોઇએ.
ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ પણ છે કે, મેડિકલ રિલેટેડ કોઇ સલાહ એઆઇ પાસેથી ન લો. લોકો પહેલાં ડોક્ટર ગૂગલનો સહારો લઇને સેલ્ફ ટ્રીટમેન્ટ કરતા હતા, હવે એઆઇ પ્લેટફોર્મને પોતાની તબિયત રિલેટેડ સવાલો પૂછે છે. મને માથું દુખે છે તો શું કરવું જોઇએ? મને તાવ આવ્યો છે તો કઇ દવા લેવી જોઇએ? પેટમાં દુખાવાનાં કયાં કયાં કારણો હોઈ શકે છે? આ અને આવા સવાલો માટે એઆઇની મદદ લે છે. દરેક માણસને તાવ આવવાનાં કારણો જુદાં જુદાં હોય છે. માથું પણ બધાને એક જ કારણે દુખતું હોતું નથી. ખોટાં જોખમ લઇને શરીર સાથે કોઇ ચેડાં કરવાં નહીં. નાની હોય કે મોટી, કોઇ પણ બીમારી માટે ડોક્ટર સિવાય કોઇની સલાહ માનવી ન જોઇએ. ડોક્ટર વ્યક્તિગત મેડિકલ હિસ્ટ્રી અને રિપોર્ટના આધારે ટ્રીટમેન્ટ કરે છે. ડોક્ટર પોતાના દર્દીની ખાસિયતો, પ્લસ અને માઇન્સ પોઇન્ટ્સ, એલર્જી અને બીજી ઇફેક્ટ સહિતની તમામ વિગતો જાણતા હોય છે. દવા આપ્યા પછી પણ ફોલોઅપમાં હેલ્થમાં શું ફેર થયો તે પણ ઓબ્ઝર્વ કરતા હોય છે. એઆઇ પ્લેટફોર્મ પોતાની રીતે જવાબો આપે છે. કૃત્રિમ બુદ્ધિ પરનો ભરોસો ક્યારેક ભારે પડી શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણું આગળ વધી ગયું છે એમાં ના નહીં, છતાં આ ક્ષેત્રના એક્સપર્ટ્સ એવું કહે છે કે, એઆઇ હજુ પ્રારંભિક તબક્કામાં છે. એ પણ ટ્રાયલ એન્ડ એરર પર ડેવલપ થઇ રહ્યું છે. બધામાં તેનો ઉપયોગ વાજબી નથી. પ્રોફેશનલ કામોમાં તેની મદદ લો, પણ પર્સનલ ઇશ્યૂઝને તો એનાથી દૂર જ રાખો. એઆઇ આમ કરી નાખશે અને તેમ કરી નાખશે એ જ્યારે થવાનું હશે ત્યારે થશે, અત્યારે આંખો મીંચીને તેના પર ભરોસો કરવા જેવું નથી. નિષ્ણાતો તો ત્યાં સુધીની વાત કરે છે કે, એઆઇ ભલે જ્યાં પહોંચવું હોય ત્યાં સુધી પહોંચે, પણ માણસે બને એટલો પોતાની બુદ્ધિ પર આધાર રાખવો જોઇએ. સમજ ન પડે ત્યારે ઘરના વડીલો કે સ્વજનોની મદદ લો, પણ નાની મોટી દરેક વાતમાં એઆઇના શરણે ચાલ્યા ન જાવ. સમયની સાથે એઆઇનો વપરાશ વધવાનો છે. એઆઇ પ્રાઇવસી જેવું કંઇ રહેવા દેવાની નથી. હવે અંગત અને ખાનગી રહે એવું કંઇ રહ્યું નથી. કોઇને કોઇના વિશે માહિતી જોઇતી હોય તો ફટ દઇને મળી શકે છે. લોકોના પ્રોફાઇલ બે બે પૈસામાં વેચાઇ રહ્યા છે. જે થઇ રહ્યું છે એ કોઇ રોકી શકવાનું નથી. આપણે બસ આપણા પૂરતું ધ્યાન રાખીએ અને ખોટા રવાડે ન ચડીએ તો એ પૂરતું છે.


—————-

પેશ-એ-ખિદમત
ઉસકે દુશ્મન હૈં બહુત આદમી અચ્છા હોગા,
વો ભી મેરી હી તરહ શહર મેં તન્હા હોગા,
એક મહફિલ મેં કઇ મહફિલે હોતી હૈ શરીક,
જિસકો ભી પાસ સે દેખોગે અકેલા હોગા.
– નિદા ફાઝલી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 21 મે, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *