ક્યાંક એને ખોટું ન લાગી જાય એનું જ ટેન્શન રહે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ક્યાંક એને ખોટું ન લાગી
જાય એનું જ ટેન્શન રહે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


સહેજ લખવા જાઉં સન્નાટા ઉપર,
ત્યાં ટકોરા થાય દરવાજા ઉપર,
કેટલી અફવાઓ લટકે છે હજી,
બંધ ઘરના બારણે તાળા ઉપર.
– મયંક ઓઝા


આપણા વર્તનનો પડઘો પડવાનો જ છે. એક્શનનું રિએક્શન એ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. અલબત્ત, એમાં ક્યારેક એવું થાય છે કે, આપણે કહેવા માંગતા હોઇએ કંઇ અને એનો અર્થ કંઇક જુદો જ કાઢવામાં આવે. કેટલાક લોકોને દરેક વાતમાં શંકા જ જતી હોય છે. આપણે ગમે એટલા સારા ઇરાદાથી વાત કરતા હોઇએ તો પણ તેને એવું જ લાગે છે કે આમાં આનો કંઇક સ્વાર્થ હોવો જોઇએ. આપણે કેટલાક લોકોને તો એવું કહેવું પડે છે કે, હવે તને છાતી ચીરીને બતાવું તો થાય. સંબંધો સંવાદ પર ટકે છે અને સંવાદ શ્રદ્ધા પર નભે છે. વાત પર જ જ્યારે શંકા કરવામાં આવે ત્યારે પ્રોબ્લેમ થવાના છે. સાચો સંબંધ એ છે જ્યાં બોલવામાં ધ્યાન રાખવું પડતું નથી. આપણને એટલો ભરોસો હોય કે, હું જે કહીશ એ વાતને એ જ સંદર્ભમાં અને એ જ અર્થમાં લેવામાં આવશે. કોઇ વાત કરતા પહેલાં વિચાર કરવો પડે, શબ્દો ગોઠવવા પડે કે ભૂમિકા બાંધવી પડે ત્યારે સંબંધ અને સંવાદ સ્વસ્થ અને સક્ષમ રહેતા નથી. જેનો પાયો જ નબળો હોય એની ઇમારત કાચી જ રહેવાની છે. મનમાં આવે એ બોલી જવાની જ્યાં મજા આવે ત્યાં જ સંબંધ સોળે કળાએ ખીલેલો રહે છે. ખુલાસા કરવા પડે, સ્પષ્ટતા આપવી પડે ત્યારે માણસ વાત કરવાનું ટાળે છે. એવું થાય છે કે, રહેવા દેને, એને વળી ખોટું લાગી જશે અને વાતનું વતેસર થઇ જશે.
કેટલાક કિસ્સામાં આપણે પહેલેથી એવું કહેવું પડે છે કે, તને ખરાબ ન લાગે તો એક વાત કરું. આવું કહેતી વખતે આપણને એવો ભય હોય છે કે, એને ખરાબ લાગી જશે. કહ્યા પછી પણ ખરાબ નહીં જ લાગે એની કોઇ ગેરંટી હોતી નથી. એક પતિ-પત્ની હતાં. બંને વાતવાતમાં એકબીજાને વડચકે લેતાં હતાં. વાત કર્યા પછી મોઢું ચડાવીને બેસી જાય. થયું એવું કે, બંને વચ્ચે વાત કરવાનો વ્યવહાર જ ઘટતો ગયો. એક વખત બંને ફરવા ગયાં. બંનેને વાત કરવી હતી, પણ બંનેના મનમાં એ ભય હતો કે, હું કંઇક કહીશ એટલે આ તરત જ રાડો પાડશે. બંને ચૂપ બેઠાં હતાં. પતિએ આખરે કહ્યું, તને એવું નથી લાગતું કે આપણે બહુ ઓછી વાતો કરીએ છીએ? પત્નીએ કહ્યું, હા મને બિલકુલ એવું જ લાગે છે. આપણી પાસે વાતો નથી એવું બિલકુલ નથી, પણ આપણે એકબીજાને વાત કરવાનું ટાળીએ છીએ. આપણને ડર લાગે છે કે, મૂડ બગડશે, માથાકૂટ થશે અને જે વાત કરવાની હશે એ ત્યાંની ત્યાં રહેશે. પતિએ કહ્યું, હું જ આવું કરું છું? તું કંઇ નથી કરતી? પત્નીએ કહ્યું, જો અત્યારે પણ આપણી વાત આડા પાટે ચડી રહી છે. બંને થોડી વાર મૌન થઇ ગયાં. આખરે પતિએ કહ્યું, ચાલ આજથી આપણે એવું નક્કી કરીએ કે શાંતિથી વાત કરીશું. એકબીજા પર ખોટી શંકા કે ખોટા આક્ષેપો નહીં કરીએ. પત્નીએ કહ્યું, સારી વાત છે. આપણે કોશિશ તો ચોક્કસ કરી જ શકીએ. તને ખબર છે કે, વાત નથી કરતા એના કારણે આપણા વચ્ચે ડિસ્ટન્સ આવતું જાય છે. પહેલાં આપણે મજાક મશ્કરી કરતાં હતાં. યાદ કર, છેલ્લે આપણે બંને ક્યારે સાથે હસ્યાં હતાં? દરેક દંપતીએ એ વિચારવું જોઇએ કે, આપણે એકબીજા સાથે કેટલી વાત કરીએ છીએ? સાથે કેટલું હસીએ છીએ? સાથે રહેતા તો બધા હોય છે, પણ સાથે જીવતા હોય એવા લોકોની સંખ્યા ઘટતી જાય છે.
કોઇ કંઇ કહે ત્યારે આપણે એનો કેવો અર્થ કાઢતા હોઇએ છીએ? હમણાંની એક સાવ સાચી વાત છે. બે મિત્રો હતા. બંને એક પ્રસંગમાં ગયા હતા. ત્યાં એક વ્યક્તિ સાથે મુલાકાત થઇ. પ્રસંગમાંથી બહાર નીકળ્યા પછી એક મિત્રએ બીજા મિત્રને સવાલ કર્યો? તને સમજાયું, એ માણસ એવું કેમ બોલ્યો હતો? એની વાતનો મતલબ આવો હતો. ઘણા લોકોને સીધી વાત કરવાની આદત જ નથી હોતી, એ બીજી વાત કરીને ટોણા મારવામાં માહેર હોય છે. આડકતરી રીતે કહેવાવાળા અને દાઢમાં રાખીને બોલવાવાળા કરતાં મોઢામોઢ સાચી વાત કહેનારા સો દરજ્જે સારા હોય છે. કમ સે કમ એ લોકો જેવું લાગે છે એવું બોલી તો દે છે. તેની વાતમાં કોઇ રમત નથી હોતી. એને આપણે ચોખવટ પણ કરી શકીએ છીએ. કેટલાક લોકો તો વાત જ એ રીતે કરે છે કે, આપણને સમજાય જ નહીં કે તેનો કહેવાનો મતલબ શું છે? કયા સંદર્ભે એ વાત કરે છે? આપણે તેને કહેવું પડે છે કે, જે હોય એ સ્પષ્ટ કહે, આમ આડીઅવળી વાત ન કર.
આજના સમયમાં બીજું ટેન્શન કોઇને ખોટું લાગી જવાનું છે. કેટલાક લોકો સાથે વાત કરવામાં એવું ધ્યાન રાખવું પડે છે કે, ક્યાંક એને ખોટું ન લાગી જાય. આપણે કહીએ છીએ કે, એનું ધ્યાન રાખજે, એને વળી ખોટું લાગી જશે. ખોટું હોય અને ખોટું લાગે તેનો કોઇને વાંધો નથી હોતો, વાંધો ત્યારે પડે છે કે, સામેવાળાનો કોઇ ખરાબ ઇરાદો ન હોય અને ખોટું લગાડી લે. આપણે કહેવું પડે કે, યાર મારા તો મનમાંયે નથી, હું તો આવું સપનામાં પણ ન વિચારી શકું, તું કેમ તારી રીતે બધું વિચારીને ખોટું લગાડે છે? કેટલાક કિસ્સાઓમાં તો આપણને ખબર જ નથી હોતી કે, આ ભાઇને કે બહેનને ખોટું શેનું લાગ્યું છે? આપણે તેને કરગરવું પડે કે, તું કંઇક કહે તો ખબર પડેને. આપણને કલ્પના સુધ્ધાં ન હોય એવી વાતનું ઘણા ખરાબ લગાડીને બેસતા હોય છે.
જેને વાતે વાતે ખરાબ લાગતું હોય છે એ ધીમે ધીમે એકલા પડી જતા હોય છે. આવા લોકોથી તેના નજીકના લોકો પણ દૂર થઇ જાય છે. કોઇ લોકોને એવું ટેન્શન જોઇતું હોતું નથી કે, તેને વાત કરવામાં પણ ધ્યાન રાખવું પડે. અમુક લોકો ખોટું તો લગાડે, ઉપરથી તેનો આગ્રહ એવો પણ હોય છે કે, આપણે તેને પૂછીએ, મનાવીએ અને ખુલાસા કરીએ. આવા લોકો અટેન્શન સિકર હોય છે. એને કોઇ પણ રીતે પોતાનું ઇમ્પોર્ટન્સ છતું કરવું હોય છે. એ લોકો ભૂલી જતા હોય છે કે, વાતે વાતે ખોટું લગાડવાથી ઊલટું આપણું મહત્ત્વ ઘટે છે. કેટલાક કિસ્સામાં તો આપણે સામેની વ્યક્તિને પૂછવું પડે છે કે, તને કંઇ ખોટું લાગ્યું છે? એની વાયડાઇ જ એવી હોય છે કે, આપણને સમજાઈ જાય કે આને કંઇક વાંકું પડ્યું છે. શેનું ખોટું લાગ્યું છે એની ખબર હોય તો આપણે સોરી કહીને વાત પૂરી પણ કરી દઇએ. આપણને ખબર જ ન હોય તો આપણે શું કરીએ? સાચી અને સારી વાત તો એ છે કે, આપણે વાતચીત કે વર્તનમાં કોઇ ધ્યાન રાખવું ન પડે.
દરેક સંવાદ પારદર્શક રહેવો જોઇએ. જે વાત જે અર્થમાં કહેવાઇ હોય એને એ જ અર્થમાં સમજવાની અને સ્વીકારવાની હોય છે. સંવાદમાં રમત નહીં કરવાની. સંવાદ જેટલો સરળ હશે, સંબંધ એટલો જ સજ્જ રહેશે. વાત કરતા આવડવી જોઇએ અને વાત સાંભળવાની કળા પણ કેળવવી જોઇએ. કેટલાક લોકોને બીજાની વાત સાંભળવાની આદત જ નથી હોતી. એ એકલા જ બોલ્યે જાય છે. કેટલાક કિસ્સામાં તો સામેવાળાને ગમે કે ન ગમે એની પરવા કર્યા વગર પણ વાત કરવાનું ચાલુ રહેતું હોય છે. આપણો વારો જ ન આવવા દે. આપણે પણ વાત કરવી હોય છે, પણ છેલ્લે માંડી વાળીએ છીએ. આપણે કહીએ છીએ કે, એણે આપણને કંઇ કહેવાનો વારો જ ક્યાં આવવા દીધો? કેવી વાત કરવી, કેટલી વાત કરવી અને ક્યારે કરવી એ કોઇ ક્લાસમાં શીખવાડાતું નથી. આપણે જાતે જ સંવાદની કળા શીખવી પડે છે. સંવાદને સમજવો પડે છે. જેને જેવું લાગવું હોય એવું લાગે એવી માનસિકતા પણ સારી હોતી નથી. જેને પ્રેમ કરતા હોઇએ એને ખરાબ ન લાગે એનું ધ્યાન રાખવું જોઇએ, બાકી જેને વાતેવાતમાં ખરાબ કે ખોટું લાગે છે એનો કોઇ ઇલાજ નથી. સંબંધ ટકાવવા અમુક વખતે સંવાદમાં પણ સેફ ડિસ્ટન્સ મેઇન્ટેન કરવું પડે છે!
છેલ્લો સીન :
સંબંધને જેટલો મુક્ત રાખશો એટલો જ એ જોડાયેલો રહેશે. મોકળાશ ન હોય તો ગૂંગળામણ થવાની જ છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 27 એપ્રિલ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *