ઓફ થઇ ગયેલા મૂડને ઓન કેવી રીતે કરવો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ઓફ થઇ ગયેલા મૂડને
ઓન કેવી રીતે કરવો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

આપણો મૂડ બદલાતો રહે છે. કોઇ ને કોઇ કારણોસર ક્યારેક મૂડ ઓફ થઇ
જાય છે. ક્યાંય મજા ન આવે એવું થાય ત્યારે થોડાક પ્રયાસો કરીએ
તો મૂડ સરખો થઇ શકે છે. મૂડને મરવા ન દેવો એ જિંદગી જીવવા માટે જરૂરી છે


———–

જિંદગીમાં સારા અને નરસા બનાવો બનતા જ રહેવાના છે. ગમે એવો સ્ટ્રોંગ માણસ પણ ક્યારેક અપસેટ થઇ જાય છે. આપણી સ્થિતિ અને સંજોગો મુજબ આપણા મૂડમાં પણ અપ-ડાઉન આવતા રહે છે. ક્યારેક આપણે ખૂબ જ મજામાં હોઇએ છીએ. કંઇક સારું બને ત્યારે સ્વાભાવિક રીતે જ ખુશી થવાની છે અને આપણો મૂડ મસ્ત હોવાનો છે. ક્યારેક કંઇક એવું બને છે જ્યારે મૂડ ઓફ થઇ જાય છે. આપણી સાથે ક્યારેક એવું પણ બનતું હોય છે કે, મજામાં હોઇએ ત્યારે જ કંઇક એવું થાય છે જે આપણને ડિસ્ટર્બ કરી નાખે છે. આપણે કહીએ છીએ કે, યાર મારો તો મૂડ જ સાવ મરી ગયો. મૂડની સારી વાત એ પણ છે કે, આપણે ઇચ્છીએ તો મરેલા મૂડને ફરીથી જીવતો પણ કરી શકીએ છીએ. મૂડને મરવા ન દેવો એ સારી રીતે જિંદગી જીવવા માટે જરૂરી છે. મૂડ સ્વિંગ થવાના જ છે. મૂડ સાથે માણસની માનસિકતા સીધી રીતે જોડાયેલી છે. ઘણા લોકો મૂડ બગડે એ પછી તરત જ તેમાંથી બહાર આવી જાય છે. કેટલાક લોકોને સમય લાગે છે. ન ગમતી ઘટના બને ત્યારે જેમ બને એમ જલદી તેમાંથી બહાર આવી જવું જોઇએ. એકને એક વાત વાગોળતા અને વિચારતા રહેવાનો કોઇ મતલબ નથી. આપણે જ ઘણી વખત કહેતા હોઇએ છીએ કે, છોડને હવે, ક્યાં સુધી તારે એકને એક વાત પકડી રાખવી છે? પતી ગયું, જે થવાનું હતું એ થઇ ગયું, હવે એમાંથી બહાર આવી જા.
મૂડ અને માનસિકતા વિશે અનેક સરવે થયા છે. દુનિયાનો કોઇ માણસ એવો નહીં હોય જે ક્યારેય અપસેટ ન થયો હોય. આપણી આજુબાજુનાં પરિબળો આપણને અસર કરવાનાં જ છે. કંઇ ન હોય તો છેલ્લે વાતાવરણ તો આપણને અસર કરવાનું જ છે. ક્યારેક એવું વાતાવરણ રચાય છે કે, આપણને મજા જ ન આવે. ઘણી વખત કોઇ કારણ વગર માણસને મજા આવતી નથી. ક્યારેક અપસેટ હોઇએ ત્યારે આપણને જ એવું થાય છે કે, કોઇ પ્રોબ્લેમ નથી, બધું જ ફાઇન છે, તો પણ મજા કેમ નથી આવતી? દર વખતે મજા ન આવવા પાછળ કોઇ કારણ જવાબદાર હોય એવું પણ નથી હોતું.
સૌથી મોટો સવાલ એ છે કે, મૂડ અપસેટ હોય ત્યારે શું કરવું? સૌથી પહેલાં એવું કહેવામાં આવે છે કે, તમને ગમતું હોય એવું કંઇક કરો. એનાથી તમારા વિચાર, તમારું ધ્યાન ડાયવર્ટ થશે. એમાં પણ પ્રોબ્લેમ એ છે કે, મૂડ ન હોય ત્યારે ગમતું કંઇક કરવાની પણ મજા નથી આવતી. કંઇ મન જ ન થાય. એના માટે એવું પણ કહેવાય છે કે, તો કંઇ જ ન કરો. રિલેક્સ થઇને પડ્યા રહો. આ અવસ્થામાં ધ્યાન એ રાખવાનું કે, કોઇ નેગેટિવ વિચારો કરવાના નથી. વિચારશૂન્ય અવસ્થા ધારણ કરવાનું કહેવામાં આવે છે. વિચારોને કંટ્રોલ કરવા એ એક પ્રકારની સાધના જ છે. સાવ વિચારશૂન્ય થવું શક્ય ન હોય તો જે વિચાર આપણને વધુ હતાશ કે ઉદાસ કરતા હોય તેને ટાળવા. વિચારોની તાકાતને ક્યારે કામે લગાડવી એની સમજ જરૂરી છે. ઇમોશનલ સ્ટ્રેસને સૌથી વધુ જોખમી ગણવામાં આવે છે. ક્યારેક આપણે આપણી વ્યક્તિથી અથવા તો કોઇનાથી હર્ટ થયા હોઇએ ત્યારે બહુ અપસેટ થઇ જવાય છે. આપણો કંઇ વાંક ન હોય, આપણને કંઇ ખબર ન હોય, આપણે કંઇ ન કર્યું હોય અને આપણને જવાબદાર ઠેરવવામાં આવે ત્યારે લાગી આવે છે. આવા સમયે વિચારોને બ્રેક આપવા સૌથી વધુ જરૂરી બને છે.
મજા ન આવતી હોય ત્યારે ખુલ્લામાં જાવ. પ્રકૃતિને માણવાનો પ્રયાસ કરો. એવું કરવાથી આપણા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ નીચે આવે છે અને આપણે સારું ફીલ કરીએ છીએ. ઘણી વખત બંધિયાર વાતાવરણ આપણા બોરડમમાં વધારો કરતું હોય છે. ખુલ્લી હવામાં જઇને ઊંડા શ્વાસ લો. પોતાની જાત સાથે સકારાત્મક વાત કરો કે, કંઇ ખરાબ નથી થયું, જે થયું છે એ પણ સારું થઇ જશે. વધારે પડતા દુ:ખી થવાનો કોઇ મતલબ નથી. માણસે ક્યારેક સેલ્ફ કાઉન્સેલિંગ પણ કરવું પડે છે. પોતાની જાતને જ સાંત્વના અને સધિયારો આપવો પડે છે. જેને સારા સેલ્ફ કાઉન્સેલિંગની ફાવટ હોય છે એને બીજા લોકોની ઓછી જરૂર પડે છે. માણસ આમ તો પોતાની જાતને સમજાવતો જ હોય છે કે, ચાલ્યા રાખે, ક્યારેક ન ગમતું થઇ પણ જાય. જે લોકો મૂડને બદલાવી નથી શકતા એ લોકો માટે ડિપ્રેશનમાં સરી જવાનું જોખમ વધુ હોય છે. માણસને ખબર પડે કે મજા નથી આવતી તો તરત જ તેણે મજા શોધીને લાવવાની જરૂર હોય છે. ગમે એમ કરીને મજામાં રહેવાનું, જે કંઇ થયું હોય તેને બહુ હાવી થવા દેવાનું નહીં. આખી દુનિયાના લોકો સાથે કંઇક ને કંઇક થતું જ હોય છે, એમાં કંઇ રડવા થોડું બેસાય? કોઇએ આપેલા ઘા પર આપણે જાતે જ મલમ લગાડવો પડે છે. ઘણી વખત ઇજા કે બળતરા થાય ત્યારે આપણે જાતે જ ફૂંક મારતા હોઇએ છીએ. મૂડ ચેન્જ કરવા ક્યારેક આવું કરવું પડતું હોય છે.
આપણે જ્યારે મજામાં ન હોઇએ ત્યારે આપણી બોડી લેંગ્વેજ પણ નરમ પડી જાય છે. આપણા ચાલવાનો ઢંગ પણ બદલાઇ જાય છે. મૂડને ચેન્જ કરવા માટે શરીરને જરાક ચુસ્ત કરો. કડક અને ટટ્ટાર થઇને બેસો. બને તો થોડુંક હસો. તેનાથી શરીરને એક પોઝિટિવ સિગ્નલ મળશે અને તણાવમાં ઘટાડો થશે. તમે માર્ક કરજો જ્યારે મજામાં હોઇએ ત્યારે આપણા રોમેરોમમાં થનગનાટ હોય છે. અપસેટ હોઇએ ત્યારે બોડી લેંગ્વેજને નબળી ન પડવા દેવી. કોઇ મળે તો તેની સાથે અત્યંત સ્વસ્થતાથી વાત કરવી. ઘણી વખત આપણે મજામાં ન હોઇએ ત્યારે બીજા સાથે સારું વર્તન કરતા હોતા નથી. એનાથી સંબંધો પર જોખમ ખડું થાય છે. એમાંય જ્યારે આપણે કંઇક કામ હોય ત્યારે જો સરખી રીતે વાત ન કરીએ તો કામ બગડી શકે છે. શરીરના હાવભાવ અને બોલવાનો ટોન ક્યારેય નબળો પડવા ન દેવો જરૂરી છે.
વિદેશ નિષ્ણાતો એક બીજી ટેક્નિક અપનાવવાની પણ સલાહ આપે છે. એ છે, વિઝ્યુઅલ ગ્રેટિટ્યૂડ. મજામાં ન હોવ ત્યારે થોડી વાર આંખો મીંચીને શાંતિથી બેસો. જિંદગીમાં જે સારું થયું છે એને યાદ કરો. જે લોકોએ તમને મદદ કરી છે એમને પણ યાદ કરીને મનોમન તેમનો આભાર માનો. કુદરતે જે આપ્યું છે એના માટે પોતાની જાતને નસીબદાર સમજો અને ઇશ્વરનો આભાર માનો. રોદણાં રડવાની ભૂલ તો ક્યારેય ન કરતા. ઘણા લોકો નાની નાની વાતોમાં રોદણાં રડતા હોય છે. એને જો બ્રેક મારવામાં ન આવે તો રોદણાં રડવાની આદત પડી જાય છે. ફરિયાદો ન કરો. જે કંઇ થયું હોય તેના માટે કોઇને દોષિત સાબિત કરવાનો પ્રયાસ પણ ન કરવો જોઇએ. આપણી સાથે થયું હોય એવું ઘણા સાથે થયું હોય છે. દરેકને કોઇ ને કોઇ સમસ્યાઓ અને ચિંતાઓ હોય જ છે. દરેક પોતાની રીતે એનો સામનો પણ કરતા જ હોય છે. એક વાત યાદ રાખવાની હોય છે કે, છેલ્લે તો દરેક માણસે પોતાનાં યુદ્ધ પોતે જ લડવાનાં હોય છે. છેલ્લે એક વાત, મજા ન આવતી હોય ત્યારે મિત્રની મદદ લો. મિત્રને મળવા જાવ. મિત્રો સાથે ટાઇમ સ્પેન્ડ કરો. મિત્રો એવી દવા છે જે દરેક દર્દ ભુલાવી દે છે. હવેનો સમય એવો છે કે, માણસે રિલેક્સ રહેવાની આવડત કેળવવી પડે. પડકારો રહેવાના જ છે, સમસ્યાઓ આવવાની જ છે. આપણે નક્કી કરવું પડે છે કે, ગમે તે થાય હું નબળો નહીં પડું.


—————-

પેશ-એ-ખિદમત
જાં રહે યા ન રહે નામ રહે,
સાથિયોં રસ્મ-એ-જુનૂં આમ રહે,
બારહા સઇ-એ-તલબ કી હમને,
યે અલગ બાત કિ નાકામ રહે.
(સઇ-એ-તલબ = પ્રયાસો) – અખ્તર જિયાઇ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 એપ્રિલ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *