ખબર નહીં કેમ, પણ મજા નથી આવતી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખબર નહીં કેમ, પણ
મજા નથી આવતી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


એની રોજેરોજ હોય છે બબાલ,
પરપોટો હાથમાં લઇ હમણાં કહેતો’તો,
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજેરોજ હોય છે બબાલ.
– કૃષ્ણ દવે



મજા, ખુશી, આનંદ, ઉત્સાહ, થનગનાટ અને રોમાંચ જેવું જિંદગીમાં કેટલું બચ્યું છે? આપણે હવે લોકોના મોઢે એવું સાંભળતા રહીએ છીએ કે, ખબર નહીં કેમ પણ મજા નથી આવતી? લાઇફ જેવું જ કંઇ લાગતું નથી. આખો દિવસ ઢસરડા કરીએ તો પણ શાંતિ ફીલ થતી નથી. રોજ કંઇક ને કંઇક ઊભું જ હોય છે. નવરા જ નથી પડાતું. આપણને ગમે એવું કરવું જોઇએ એ બધાને ખબર છે, પણ મેળ તો પડવો જોઇને? માંડ કંઇક નક્કી કર્યું હોય ત્યાં કોઇ ને કોઇ ઉપાધિ આવી ચડે છે. માણસની મોટાભાગની વાતોમાં ફરિયાદો જ હોય છે. દરેક વાતમાં કોઇ ને કોઇ પ્રોબ્લેમ દેખાય છે. રાતના સૂતી વખતે પણ એવા વિચાર આવે છે કે, હમણાં સવાર પડશે અને પાછું બધું હતું એનું એ. સવાર પડે ત્યારે એવું લાગે છે કે, ઊંઘ પૂરી નથી થઇ. મનમાં ઉચાટ અને ઉત્પાત હોય તો શાંતિની ઊંઘ ક્યાંથી આવવાની છે? દરેક સવાર સ્ફૂર્તિ લઇને આવવી જોઇએ. આપણી તો સવાર જ કંટાળાથી શરૂ થાય છે. ઊઠતાંવેંત એ જ યાદ આવે છે કે, આજે ક્યા લમણાં લેવાના છે? રજાના દિવસે પહેલો વિચાર એ આવે છે કે, હાશ આજે તો રજા છે. એ વખતે પણ બીજો વિચાર એવો જ આવે છે કે, હમણાં આ રજા પૂરી થઇ જશે. બહુ ઓછા લોકો એવો વિચાર કરે છે કે, આજની રજાની પૂરેપૂરી મજા માણવી છે. હવે થાય છે એવું કે, કંઇ હોય તો માણસ એવું વિચારે છે કે, રવિવારે કરીશું. એના કારણે રવિવાર હોય એના કરતાં વધુ પેક થઇ જાય છે. સોશિયલ કામો પતાવવાનાં હોય છે. હવે લોકો પ્રસંગોમાં જતા પણ કંટાળવા લાગ્યા છે. માંડ એક રજા મળતી હોય ત્યારે પણ ક્યાંક જવાનું! રજાના દિવસે કંઇ હોય તો માણસનો મૂડ ઓફ થઇ જાય છે.
આપણે હવે મજા માટે પ્લાનિંગ કરવું પડે છે. એનું કારણ એ છે કે, આપણી જે સ્થિતિ હોય એમાં આપણને મજામાં રહેતા આવડતું નથી. ક્યાંક ફરવા જવાનું હોય તો મજા આવે. કોઇ પાર્ટી હોય તો મજા આવે! કંઇ કર્યા વગર પડ્યા રહેવાનું હોય તો મજા આવે. મજા વિશેના આપણા ખયાલો જ બદલી ગયા છે. એક પતિ-પત્ની હતાં. બંને જોબ કરતાં હતાં. એક દિવસ પતિએ પત્નીને પૂછ્યું, તને રજા મળે એમ છે? પત્નીએ પૂછ્યું, કેમ શું થયું? પતિએ કહ્યું, યાર એક્ઝોસ્ટ થઇ ગયો છું, મજા નથી આવતી, આઇ નીડ બ્રેક. પત્નીએ કહ્યું, હા પ્લાન કરીએ. એ પછી પત્નીએ કહ્યું કે, ફરવા જઇએ એમાં વાંધો નથી, પણ ફરીને આવીએ એ પછી તું ફ્રેશ રહી શકીશ? લાસ્ટ ટાઇમ ફરવા ગયા ત્યારે ત્યાં પણ તું એમ કહેતો હતો કે, હમણાં રજા પૂરી થઇ જશે અને પાછી મજૂરી કરવાની. એક વીક ગયાં હતાં ત્યારે પણ તું રોજ દિવસ ગણતો હતો. એક દિવસ તો પતિ ગયો. છેલ્લે એમ કહેતો હતો કે, હવે એક જ દિવસ રહ્યો. તારા માઇન્ડમાં મજા કરતાં આવનારા પડકારોની ચિંતા વધુ હોય છે. ફરવા ગયા પછી પણ ખુશી કે હળવાશની કોઇ ગેરંટી નથી. આ વખતે ફરવા જઇએ ત્યારે એવું જ વિચારજે કે, બીજો કોઇ વિચાર કર્યા વગર બસ મજા જ કરવી છે. રજા માણી લીધા બાદ કામને પણ એન્જોય કરવું છે. તું કામને થાક સાથે જોડી દે છે એટલે તને પ્રેશર જ લાગે છે.
મજા માટે આખો દિવસ પણ જરૂરી નથી. કામ પૂરું કર્યા પછી એકાદ-બે કલાક મળી જાય તો પણ પૂરતું છે. રિલેક્સ થવાના સમયે આપણે મોબાઇલ લઇને બેઠા રહીએ છીએ. એનાથી કેટલો સ્ટ્રેસ લાગે છે એનો આપણે જરાયે વિચાર કરતા નથી. જેને ઘરમાં રિલેક્સ ફીલ નથી થતું એને બીજે ક્યાંય મજા આવવાની નથી. એક વખત એક છોકરીને એવો સવાલ કરવામાં આવ્યો કે, ફરવા શા માટે જવું જોઇએ? એ છોકરીએ કહ્યું, ઘરની કદર થાય એ માટે! બહારથી ઘરે આવીએ ત્યારે હાશ થાય છે. એવો વિચાર આવે છે કે, ઘર જેવી શાંતિ ક્યાંય નથી. ચાર દિવસ બહારનું ખાઇને ઘરે આવ્યા બાદ ઘરે ખાઇએ ત્યારે એમ થાય છે કે, આ જ સાચું છે. માણસ પોતાના ઘરમાં મજામાં રહેતા ભૂલતો જાય છે. કેટલાકનાં ઘર હોટલને ટક્કર મારે એવાં હોય છે. કોઇ સાધન સુવિધાની કમી નથી હોતી. ઘર જોઇને આપણને એમ થાય કે, એને ક્યાં બહાર જવાની જરૂર છે? એનું ઘર જ રિસોર્ટ જેવું છે. ઘર ગમે એવું હોય એનાથી ફેર નથી પડવાનો, ઘરમાં તમારી માનસિક અવસ્થા કેવી છે એના પર જ બધો આધાર રહેવાનો છે. ઘર ક્યારેય સંપૂર્ણ નહીં હોવાનું! પોતાના ઘર વિશે બધાને એમ થતું જ હોય છે કે, હજુ આ ખૂટે છે, હજુ આ કરાવવું છે. ઘરની મજા જ એ છે કે, જે હોય તેમાં કંઇક ને કંઇક ઉમેરો કરવાનું મન થયા રાખે છે. ઘરમાં કંઇક આવે ત્યારે આપણામાં પણ કંઇક ઉમેરાતું હોય છે. ઘરના દરેક ખૂણા સાથે આપણું એક અલૌકિક જોડાણ હોય છે. રૂટિન ક્યારેક બોર કરે, પણ બ્રેક લીધા પછી શાંતિ એ રૂટિનથી જ થતી હોય છે.
મજા નથી આવતી એવો વિચાર જ મજાને દૂર ફંગોળી દે છે. તમે જ્યારે એવો વિચાર કરો છો કે, મજા નથી આવતી ત્યારે મજા આવવાની જ નથી. હા, ક્યારેક એવું બનવાનું છે કે, મજા ન આવે. એવા સમયે મજા કેવી રીતે આવે એ વિચારવાનું હોય છે. મજા આવે એવા ઘણા રસ્તા હોય છે. તમને ગમતું હોય એવું કરો, ખુલ્લામાં બેસો, ક્યાંક ચક્કર મારો, ગમતું હોય એવું સાંભળો, જુઓ કે વાંચો. સવાલ ધ્યાન બીજે આપવાનું હોય છે. ચેન્જ લાવવો પડતો હોય છે. મૂડ બદલવો પડતો હોય છે. આપણે પોતે જ આપણા ખોટા અને ઉદાસી આપે એવા વિચારોમાંથી બહાર નીકળવું પડતું હોય છે. બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, જે રોજિંદુ છે એને કંટાળાજનક માનવાને બદલે એન્જોય કરવાનો પ્રયાસ કરીએ. આપણે કામ અને આરામને જુદા પાડી દીધા છે. કામમાં જેને આનંદ આવે છે એને કામનો થાક નથી લાગતો. કામમાં જેને કંટાળો આવે છે એ જ હાંફી જાય છે. જિંદગીની દરેક ક્ષણમાંથી મજા લેતા શીખવું પડે છે. જે કરવાનું છે એ કરવાનું જ છે. આપણે ગમે એટલા ધમપછાડા કરીએ એનાથી છૂટી શકવાના નથી. જિંદગીના પડકારોને પહોંચવું પડે છે. અમુક સ્થિતિને ટેકલ કરવી પડે છે.
મજા કરતી વખતે પણ કેટલા લોકો ખરેખર મજા કરતા હોય છે? મજામાં હોવ ત્યારે તમને ખબર હોય છે કે, હું અત્યારે સરસ સમયમાંથી પસાર થઇ રહ્યો છું? મજા કરતી વખતે પણ હન્ડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઇએ. બીજો કોઇ વિચાર નહીં, બીજી કોઇ ચિંતા નહીં. ઘણા લોકો મજાના સમયે પણ કાલે શું કરવાનું છે એના વિચારો કરતા હોય છે. જ્યારે જે કરવાનું હશે ત્યારે એ કરવાનું જ છે. અત્યારે મજા કરવાની છે એની જાણ હોવી જોઇએ. દર વખતે મજા પ્લાનિંગથી જ આવે એવું જરૂરી નથી. જેને મજામાં રહેતા આવડે છે એને ક્યાંય પણ મજા આવે છે. સાચી મજા ઘણી વખત ઓચિંતી અને અણધારી જ આવે છે. આપણે જ ઘણી વખત કહેતા હોઇએ છીએ કે, અંદાજ નહોતો કે આટલી મજા આવશે. મજાને વાગોળતા રહો. આપણે વેદના અને પીડાને જ વાગોળતા રહીએ છીએ. સારી વાતો, સારા પ્રસંગો અને સારી ઘટનાઓની યાદ મમળાવતા રહો. મજાને મરવા જ ન દો. મજાને સજીવન રાખો. બહુ ચિંતા ન કરો. કાલ્પનિક ભયથી દૂર રહો. પોઝિટિવિટી એ બીજું કંઇ નથી, પણ પોતાની જાત સાથેની મક્કમતા અને સકારાત્મકતા જ છે.
છેલ્લો સીન :
સાચો આરામ એ છે જે આપણા ઉત્સાહમાં વધારો કરે. નવા પડકાર માટે તૈયાર કરે. આળસ અને આરામમાં હાથી-ઘોડાનો ફર્ક છે. એ બંને વચ્ચેનો ભેદ જે સમજતો નથી એ ક્યારેય ધાર્યાં પરિણામો મેળવી શકતો નથી. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 01 જૂન, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *