એ સારો માણસ છે પણ આપણા ટાઇપનો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એ સારો માણસ છે પણ
આપણા ટાઇપનો નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


એક પણ ડગલું હવે આગળ વધાતું કાં નથી?
આટલામાં એમનો આવાસ હોવો જોઇએ.
હો ભલે ખોટા છતાં થોડો દિલાસો આપજે,
જીવવાને કંઇક તો આધાર હોવો જોઇએ.
દેવદાસ શાહ `અમીર



સંબંધનું શાસ્ત્ર ઘડીકમાં ન સમજાય એવું છે. આપણને બધા સાથે ફાવતું નથી. અમુક લોકો સાથે જબરદસ્ત ક્લિક થઇ જાય છે. કેટલાક લોકો માટે કારણ વગરનો અણગમો હોય છે. આપણું કંઇ બગાડ્યું ન હોય તો પણ આપણને ઘણા લોકોથી ચીડ હોય છે. કેટલાક લોકો આપણને એમ જ ગમતા હોય છે. એની સાથે મજા આવે છે. આપણે કહીએ છીએ કે એ લાઇવ છે. કેટલાકનું હસવું સ્પર્શી જાય છે તો કેટલાકના શબ્દો ટચ કરી જાય છે. માણસ નજીક આવે ત્યાં જ આપણને ખબર પડી જાય છે કે, આની કેટલી નજીક જવું. આજના જમાનામાં માણસ વધુ ને વધુ ટોક્સિક થઇ રહ્યો છે. જાણે જીવતો બારૂદ ન હોય! એને કંઇ કહો તો તરત જ ફાટે છે. નાની નાની વાતોમાં લડવા પર ઊતરી આવે છે. આપણને સમજાય નહીં કે, આને કરવું છે શું? એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું, માણસ કેમ આટલો ઝડપથી છંછેડાઇ જાય છે? સંતે કહ્યું, એનું કારણ એ છે કે, એને શાંતિનો અનુભવ જ નથી. જેણે કોઇ દિવસ શાંતિનો અહેસાસ માણ્યો જ નથી એ ક્યાંથી શાંત રહેવાનો છે? તમે મૂરખ માણસને હજુયે સમજાવી શકો, પણ ટોક્સિક એટલે કે ઝેરીલા માણસનું ઝેર જરાયે ઓછું ન કરી શકો! એનાથી બચવાનો એક જ ઇલાજ છે અને એ છે એવા લોકોથી દૂર રહેવું! ઘણા લોકો સળગતા હોય છે. એની નજીક જઇએ એટલે આપણને પણ ઝાળ લાગવાની જ છે! દાઝી જ જવાના છીએ!
કોની સાથે સંબંધ રાખવો એની જેટલી સમજ હોવી જોઇએ એના કરતાં પણ વધુ સમજ કોનાથી દૂર રહેવું એની હોવી જોઇએ. જો ટોક્સિક લોકોથી દૂર રહેશો તો જ સારા લોકોની નજીક રહેવાશે. દરેક પરિસ્થિતિમાં શાંત રહેવું એ એક પ્રકારની સાધના જ છે. તમે ભગવાન બુદ્ધની વાર્તા સાંભળી છે? ભગવાન બુદ્ધ વિહાર દરમિયાન એક ગામમાં રોકાયા હતા. આ દરમિયાનમાં કેટલાક લોકો આવીને બુદ્ધને જેમ તેમ બોલવા લાગ્યા. ગાળો આપવા લાગ્યા. ભગવાન બુદ્ધે શાંતિથી બધું સાંભળ્યું. બુદ્ધે પછી કહ્યું, હવે તમે વાત પૂરી કરી લીધી હોય તો હું જાઉં? લોકોને આશ્ચર્ય થયું કે, આને બેફામ ગાળો આપીએ છીએ તો પણ એને કંઇ થતું નથી! એક માણસે બુદ્ધને પૂછ્યું, તમને કેમ કંઇ થતું નથી? બુદ્ધે કહ્યું, એ લોકોએ મને ગાળો આપી એ લેવી કે ન લેવી એ તો મારે નક્કી કરવાનું છેને? એ ગાળો ભલે મને દીધી હોય પણ એ એની પાસે જ છે. ભગવાને કહ્યું કે, થોડા દિવસ પહેલાં કેટલાક માણસો મારી પાસે મીઠાઇ લઇને આવ્યા હતા. મને મીઠાઇ આપવા લાગ્યા. મેં આભાર માનીને કહ્યું, હું મીઠાઇ ખાતો નથી. એ પછી એ લોકોએ શું કર્યું એ ખબર છે? એ મીઠાઇ તેમનાં પરિવાર અને બાળકોને વહેંચી દીધી. મેં જેમ મીઠાઇ ન લીધી એમ આ લોકોની ગાળો પણ નથી લીધી. એ લોકો પાસે મીઠાઇ હતી એટલે એણે પોતાના પરિવારમાં મીઠાઇ વહેંચી. આ લોકો પાસે ગાળો છે! એમણે શું કરવું એ એમણે નક્કી કરવાનું છે. જેની પાસે જે હોય એ જ એ વહેંચી શકે છે.
માણસના વર્તનને આપણા પર કેટલું હાવી થવા દેવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઇ આપણને છંછેડે અને આપણે છંછેડાઇ જઇએ. કોઇ આપણી ખુશામત કરે અને આપણે પોરસાઇ જઇએ. કોઇ આપણાં વખાણ કરે અને આપણે ખુશ થઇ જઇએ. આવું કરતી વખતે આપણે જાણે અજાણે આપણી ચાવી બીજાના હાથમાં સોંપી દેતા હોઇએ છીએ. માણસે ક્યારેય કોઇના હાથનું રમકડું બનવું ન જોઇએ. કોઇ નચાવે એમ નાચવું છે કે પછી આપણે જીવવું હોય એમ જીવવું છે એ નક્કી કરી લેવું જરૂરી છે. દુનિયાના લોકો પોતાનાં કામ કઢાવવા માટે કંઇ પણ કરી શકે છે. કેટલાક લોકો કામચલાઉ સારા હોય છે. એનું કામ પતે એટલે એ પાછા હતા એવા ને એવા થઇ જાય છે. એ લોકોને માણસનો ઉપયોગ કરતા સારી રીતે આવડતું હોય છે. મૂરખ બનાવવાવાળાનો તોટો નથી. આપણે સાવચેત રહેવાનું હોય છે.
બધા માણસો ખરાબ કે બૂરા જ હોય છે એવું બિલકુલ જરૂરી નથી. સારા માણસોની પણ દુનિયામાં કમી નથી. એમાં પણ એક રસપ્રદ વાત એ છે કે, સારા માણસ સાથે પણ આપણને ફાવે જ એવું બિલકુલ જરૂરી નથી. એની સાથે પણ મન મળવું જોઇએ. એની આદતો અને દાનતો પણ આપણાથી હજમ થવી જોઇએ. એક ગ્રૂપ હતું. બધા મિત્રો હતા. એક વખત બધાએ સાથે ફરવા જવાનું નક્કી કર્યું. પ્લાનિંગ ચાલતું હતું ત્યાં એક મિત્રએ એક નવા દોસ્તને સાથે લેવા માટે કહ્યું. તેનું નામ સાંભળીને ગ્રૂપના જ એક મિત્રએ કહ્યું કે, એને રહેવા દેને! એ સારો માણસ છે, પણ એ આપણા ટાઇપનો નથી. મને એની સામે કંઇ વાંધો નથી, પણ એ વધુ પડતો ચોખલિયો છે. એને પોતાના સારાપણાનું અભિમાન છે. વારેવારે શું હોવું જોઇએ અને શું ન હોવું જોઇએ એની વાતો કરવા લાગે છે! સારા હોવું સારી વાત છે, પણ બીજા પર ઠોકી બેસાડવું સારી વાત નથી. આપણી લાઇફમાં પણ એવા લોકો હોય જ છે, જે ખરેખર સારા હોય, સમાજમાં એનું નામ હોય, છતાં આપણે તેની સાથે મર્યાદિત સંબંધ જ રાખતા હોઇએ છીએ. આપણને ફાવે એની સાથ જ ફાવે છે.
પોતાના લોકો સાથે એડજસ્ટમેન્ટ કરી લઇએ એ બરાબર છે. કરવું જ જોઇએ. સંબંધને આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ એટલા માટે જ કહેવામાં આવે છે. બધા સાથે એડજસ્ટ થવાની કંઇ જરૂર નથી હોતી. કોઇનું અપમાન ન કરીએ, કોઇને અવોઇડ ન કરીએ, પણ જેની સાથે બહુ જામતું ન હોય એની સાથે કામ પૂરતો જ સંબંધ રાખીએ તો કશું ખોટું હોતું નથી. સંબંધો આમ પણ કેટલીક મર્યાદાઓ સાથે જ જીવાતા અને નિભાવાતા હોય છે. આપણે બધાના ઘરે નથી જતા. આપણે પણ બધાને ઘરે નથી બોલાવતા. અમુક લોકો બહાર પૂરતા જ મર્યાદિત હોય છે. બહારના સંબંધોમાં લાગણી નથી હોતી એવું પણ નથી પણ એ લિમિટેડ હોય છે. જેની સાથે દિલનો નાતો હોય છે એની સાથે કોઇ વાંધો આવતો નથી. ઊલટું એ ન હોય તો ખાલીપો લાગે છે. બાય ધ વે, તમારા વગર કોઇને ખાલીપો લાગે છે? તું તો જોઇએ જ, તારા વગર મજા જ ન આવે, એવું કહેનાર કોઇ હોય એ પણ જરૂરી છે. દરેક માણસ કેટલાક લોકો માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. માણસ એની સાથે અટેચ્ડ હોય છે. આપણે કેટલાક લોકો સાથે માત્ર કનેક્ટેડ હોઇએ છીએ. સંબંધો અલગ અલગ ધરી પર જીવતા હોય છે. મજાની વાત એ પણ છે કે, જિંદગીમાં દરેક સ્તરના સંબંધો જરૂરી છે. એક માણસે કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, હું રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરું છું. મારી સાથે બીજા લોકો પણ અપ-ડાઉન કરે છે. અમારો સંબંધ ટ્રેન પૂરતો મર્યાદિત છે. રોજ સાથે સફર કરનારાઓમાં કોઇ ન હોય ત્યારે કંઇક અધૂરું લાગે છે. સ્ટેશન આવે અને બધા જુદા પડી જઇએ છીએ. એક વખત સાથે સફર કરનારી એક વ્યક્તિએ કહ્યું કે, ચાલો આપણે એક વોટ્સએપ ગ્રૂપ બનાવીએ. એ સમયે એક વ્યક્તિએ ના પાડી. તેણે કહ્યું કે, જે માધુર્ય ટ્રેન પૂરતું છે એને એટલું જ રહેવા દો! એની જ મજા છે. સંબંધોનો વ્યાપ જેટલો રહેવો જોઇએ એટલો રાખીએ એની જ મજા છે. કાળજી એટલી જ રાખવાની કે, જ્યારે જેની સાથે હોઇએ ત્યારે એ સંબંધ સોળે કળાએ જીવાય!
છેલ્લો સીન :
બધાને સારું લાગે, બધા ખુશ રહે અને કોઇને ખરાબ ન લાગે એવો પ્રયાસ ક્યારેય ન કરવો. એવું કરશો તો પણ કોઇને તો વાંધા પડવાના જ છે. ઘણાની પ્રકૃતિ જ અવળચંડી હોય છે. એને સીધું અને સારું કંઇ દેખાતું જ નથી! બધામાંથી ખોચરા કાઢવાની એને આદત હોય છે! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 20 એપ્રિલ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *