પહેલાં તું મારી પૂરી વાત તો સાંભળ!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
સભ્યતાથી વાત કરતાં આવડે તો આવજે,
ને ઉદાસી જો અમારી પરવડે તો આવજે,
તું કહે તો હું લખેલું ભૂંસવા તૈયાર
છું,
પણ ભૂંસેલું વાંચતાં જો આવડે તો આવજે.
– દિનેશ કાનાણી.
સમયમાં આવતાં બદલાવની સાથે ઘણી કળાઓ
લુપ્ત થઈ ગઈ છે અને ઘણી આવડતો ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. આવી જ એક કળા છે, સાંભળવાની કળા. લોકો બોલવાની કળામાં પારંગત થતાં જાય છે. બધાને ઘણું બધું કહેવું છે, પણ કોઈને કંઈ સાંભળવું જ નથી. માણસમાં સંવાદ સુકાઈ રહ્યો છે. વાત કાપવામાં, વાત આડે પાટે ચડાવવામાં અને વાતને
ટલ્લે ચડાવવામાં આપણે હવે પારવધા થતાં જઈએ છીએ. મોઢું તોડી લેવામાં આપણને જરા પણ ખચકાટ થતો નથી. મેં તો તેને મોઢામોઢ એવી ચોપડાવી દીધી કે પછી એ કંઈ બોલી જ ન શક્યો! આવી વાતો ઘણાં લોકો કરતાં હોય છે. કોઈને બોલતા બંધ કરી દેવા બહુ સહેલા છે. કોઈને બોલવા દેવા, કોઈને સાંભળવા, કોઈને સમજવા અને સાચી વાત હોય તો કોઈને
સ્વીકારવા એ નાનીસૂની વાત નથી. જો અત્યારે છે એવું જ ચાલતું રહ્યું
તો આપણે સાંભળવાનું શીખવાના ક્લાસ જોઇન કરવા પડશે!
મારે તમારી સાથે વાત કરવી છે, એમ તમને કોઈ કહે પછી તમે એની વાત સાંભળવા તૈયાર થઈ જાવ
છો? હમણાં નહીં, હમણાં હું બિઝી છું. તારે વાત કરવી હોય તો આરામથી કરીશું. આવો જવાબ આપી દીધા પછી રિલેક્સ ટાઇમ આવતો જ નથી. માનો કે રિલેક્સ ટાઇમ મળે તો સામેવાળા માણસનો મૂડ અને
માહોલ બદલી ગયો હોય છે. એક મિત્રએ તેના મિત્રને કહ્યું કે, તું કહેતો હતો કે મારે થોડીક વાત કરવી હતી, શું હતું બોલ! બીજા મિત્રએ કહ્યું, ના, હવે કંઈ વાત નથી. પતી ગયું. મનમાં એ એવું કહેતો હતો કે મારે જ્યારે વાત કરવી હતી ત્યારે તારી પાસે ટાઇમ
ન હતો, વાત કરવાનો એક અવસર હોય છે, તકાજો હોય છે. એ ચાલ્યો જાય પછી પાછો આવતો નથી. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે, હું વાત કરવા ગયો હતો, પણ તેને મળ્યો પછી મને વાત કરવાનું વાજબી ન લાગ્યું એટલે હું થોડી વાર બેસીને
પાછો આવી ગયો.
કોઈ આપણી પાસે આવે ત્યારે આપણે એવું
વિચારીએ છીએ કે એ શા માટે આવ્યો છે? ક્યારેય પૂછીએ છીએ કે શું હતું? કંઈ વાત કરવી છે? કોઈની વાત પ્રેમથી અને શાંતિથી સાંભળવી એ પણ પ્રેમ, લાગણી અને વાત્સલ્ય જ છે. એક બાળક એના ડેડીને મેસેજ કરતો હતો. તેના મિત્રએ પૂછ્યું કે તું મેસેજ કેમ કરે છે? સીધી વાત જ કરી લેને! એ બાળક એવું બોલ્યો કે મારા ડેડી મારી કોઈ વાત જ ક્યાં સાંભળે છે. હું વાત કરવા જાઉં ત્યાં જ કહી દે છે કે, હમણાં કંઈ નહીં! પેલી નાનકડી વાર્તા સાંભળી છે? એક દીકરાએ તેના પપ્પાને પૂછ્યું કે, ડેડી તમારો મહિનાનો પગાર કેટલો છે? ડેડીએ કહ્યું કે નેવું હજાર. વાત પૂરી થઈ ગઈ. થોડાક દિવસ પછી દીકરો એની પીગી બેન્ક લઈને આવ્યો. ડેડીને કહ્યું કે, આ પીગી બેન્કમાં ત્રણ હજાર રૂપિયા છે. તમે મને તમારો એક દિવસ આપોને! મારે આખો દિવસ તમારી સાથે રહેવું છે, વાતો કરવી છે, મારી સ્કૂલની, મારા મિત્રોની અને મારાં તોફાનની. બીજા દિવસે જ તેના ડેડીએ રજા લઈ લીધી. ત્રણ હજારની ગિફ્ટ લઈ આવ્યા અને કહ્યું કે કાલે તેં
વાત કરી પછી મેં નક્કી કર્યું કે આજે હું તારા માટે કમાઈશ. આવતી કાલે એ કમાણી તારા માટે  વાપરીશ. દીકરાએ કહ્યું, મને તો બસ તમારો સમય જોઈએ છે. મારા શબ્દોને તમારો કાન જોઈએ છે, મારા ઘાવને તમારો સ્પર્શ જોઈએ છે અને મારી ખુશીમાં તમારી
ભાગીદારી જોઈએ છે.
પતિ-પત્નીમાં સુકાઈ જતાં સ્નેહનું એક અને સૌથી મોટું કારણ વાતચીતમાં થઈ ગયેલો ઘટાડો
હોય છે. અમુક અભાવ દેખાતા નથી, એ મહેસૂસ થતાં હોય છે. એક દંપતીની વાત છે. પતિ ઘરે હોય ત્યારે ફોન પર વાત જ કરતો રહે. હાજરી હોય પણ સાંનિધ્ય ન હોય. એક વખત પતિનો ફોન પૂરો થયો કે તરત જ બીજા રૂમમાં જઈ
પત્નીએ તેને ફોન કર્યો. પતિએ કહ્યું, શું કરે છે? પત્નીએ કહ્યું, મને થયું કે તમારી સાથે ફોન ઉપર જ
વાત કરું. તમને ફોનમાંથી નવરાશ જ ક્યાં મળે છે? આખરે તમે વાત કરો છો એ રીત અપનાવવી પડી!
વાત કહેવાની આપણને ઉતાવળ હોય છે, પણ વાત સાંભળવાની ધીરજ આપણામાં હોતી નથી. આપણને કોઈ વાત યાદ આવે એટલે તરત જ આપણે બીજાની વાત કાપીને
આપણી વાત કહેવા માંડીએ છીએ. મોટા ભાગની ચર્ચાનું નિરાકરણ એટલા
માટે આવતું નથી, કારણ કે આપણને વાત કરતાં આવડતી હોતી નથી. વિચાર વિમર્શમાં મેનર્સ અને ડેકોરમ બહુ ઇમ્પોર્ટન્ટ
હોય છે. ટુ ધ પોઇન્ટ અને માત્ર કામની વાત કરતાં આવડવું એ પણ
સારા વર્તનની નિશાની જ છે. ઘણાં માટે આપણે એવું કહીએ છીએ કે, રહેવા દેને, એની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી.
સંતાનો મા-બાપથી દૂર થઈ જાય છે. તેમાં મા-બાપની વાત કરવાની અણઆવડત બહુ મોટો
ભાગ ભજવે છે. પોતે ખોટા હોઈ શકે છે અને સંતાનોની વાત પણ સાચી હોઈ
શકે છે, એવું કેટલાં મા-બાપ માનતાં અને સ્વીકારતાં હોય છે? તને ખબર ન પડે. તું હજુ નાનો છે. તારા કરતાં અમને વધુ અનુભવ છે. તારે વચમાં કંઈ બોલવાનું નથી. અનુભવો માત્ર આપણી પાસે જ નથી હોતા, બીજા પાસે પણ હોય છે. દીકરો કે દીકરી જ્યારે એમ કહે કે હવે જમાનો બદલાઈ ગયો છે ત્યારે માનજો કે તમે
જમાના સાથે તાલ મિલાવી શક્યા નથી. સમયની સાથે ખયાલો પણ જૂના અને જરીપુરાણા
થતાં હોય છે. એ ખયાલો ન બદલીએ તો આપણે પણ જૂના જમાનામાં ખપી જઈએ છીએ. આપણે સાઇડલાઇટ થઈ ગયા હોઈએ ત્યારે થોડોક ધક્કો આપણે
જ આપણને આપ્યો હોય છે.
કોઈની પૂરી વાત સાંભળ્યા પહેલાં કે
કોઈને પૂરેપૂરા ઓળખ્યા પહેલા થતું વર્તન ડિસ્ટન્સ પેદા કરી દેતું હોય છે. એક બાપ-દીકરાની વાત છે. દીકરાના બંને હાથમાં એક-એક સફરજન હતું. પિતાએ કહ્યું કે એક સફરજન મને આપ. દીકરાએ સફરજન ન આપ્યું અને એક સફરજનમાંથી બટકું ભરી લીધું. પિતા નારાજ થઈ ગયા. દીકરાને પાછું કહ્યું કે તને સમજાતું નથી, એક સફરજન મને આપ. આટલું સાંભળતાં જ દીકરાએ બીજા સફરજનમાંથી
પણ બટકું ભરી લીધું. પિતાનો પિત્તો ગયો. ગુસ્સામાં એ દીકરાની નજીક ગયા. પિતા કંઈ બોલે એ પહેલાં જ દીકરાએ ખૂબ જ પ્રેમથી કહ્યું
કે, પપ્પા આ સફરજન લ્યો, એ બહુ મીઠું છે. પપ્પાની આંખો ભીની થઈ ગઈ. દીકરાએ પૂછ્યું, પપ્પા શું થયું? પપ્પાએ કહ્યું, કંઈ નહીં બેટા! પપ્પાએ મનમાં કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ એ વાતથી દુ:ખી નથી પણ મને તારો પ્રેમ ન સમજાયો એ વાતે ડિસ્ટર્બ
થયો છું.
મૌનની પણ ભાષા છે. મૌન ઘણી વખત શબ્દો કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે. જોકે, દરેક વખતે મૌન કામ લાગતું નથી. પ્રેમ અને લાગણી હોય ત્યારે શબ્દો પણ વાપરવા પડે છે. વાત કહેવી પડે છે. વાત સાંભળવી પડે છે. સોફા પર કે હીંચકે બેસી કેટલાં દંપતીઓ
આરામથી વાતો કરતાં હોય છે? ટીવી ચાલુ હોય છે અથવા તો હાથમાં ફોન
હોય છે. બાજુમાં હોય ત્યારે નિકટતાનો અહેસાસ થવો જોઈએ. આપણી વ્યક્તિના ધબકારા વધી જાય તોયે ખબર પડી જાય એ સાચું
સાંનિધ્ય. સંબંધ માત્ર શરીરના નથી હોતા, શ્વાસના પણ હોય છે. શ્વાસનું પણ સંગીત હોય છે, એ સાંભળવા માટે કાન નહીં, દિલ જોઈએ. તમારા માટે જે વ્યક્તિ સૌથી નજીકની હોય, સૌથી મહત્ત્વની હોય, તેની વાતને તમે કેટલી સિરિયસલી લો
છો? કોઈની વાત ધ્યાનથી ન સાંભળવી એ તેની અવગણના અને અપમાન
જ છે. તમારે પ્રેમને સજીવન રાખવો છે તો તમારી વાતચીતને જીવતી
રાખો.
છેલ્લો સીન:
સંવાદ મરી જશે તો સંબંધનું આયુષ્ય
પણ ખૂટી જશે. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 09 માર્ચ 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

email : kkantu@gmail.com




Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

Leave a Reply

%d bloggers like this: